Lizard in Canteen Meal: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-બહુચરાજી રોડ પર આવેલી ‘ભારત સીટ્સ’ કંપનીમાં ભોજનની ગંભીર બેદરકારી સામે આવતા ભારે રોષ ફેલાયો છે. કંપનીની કેન્ટીનમાં પીરસવામાં આવેલી દાળમાંથી ગરોળી નીકળતા આ ભોજન આરોગનાર 10થી વધુ કર્મચારીઓની તબિયત એકાએક લથડી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Lizard in Canteen Meal: શું બની ઘટના?
કંપનીમાં બે શિફ્ટમાં અંદાજે 600થી વધુ શ્રમિકો કામ કરે છે. કંપની દ્વારા કર્મચારીઓના પગારમાંથી રકમ કાપીને તેમને કેન્ટીનમાં ભોજન પૂરું પાડવામાં આવે છે. સોમવારે રાત્રે 8:30 વાગ્યાની શિફ્ટ દરમિયાન જ્યારે કર્મચારીઓ ભોજન લઈ રહ્યા હતા, ત્યારે દાળમાં ગરોળી જોવા મળી હતી. આ દૂષિત ખોરાક લેવાથી કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને ઉલ્ટી-ઉબકા જેવી સમસ્યાઓ શરૂ થઈ હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક કંપનીની બસ દ્વારા સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવ્યા હતા.

Lizard in Canteen Meal: કર્મચારીઓનો આક્રોશ અને તપાસનો ધમધમાટ
આ ઘટનાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. કર્મચારીઓએ કેન્ટીનમાં એકઠા થઈને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો અને કંપની મેનેજમેન્ટની બેદરકારી સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે, જેના પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
હાલમાં આ મામલે કંપની સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથેના આ ચેડાં સામે સ્થાનિક સ્તરે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




