Supreme Court Rebukes Comedians: સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ માટે એક કડક દાખલો બેસાડતા જાણીતા યુટ્યુબર સમય રૈના, રણવીર અલાહાબાદિયા સહિતના અન્ય કલાકારો પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે અસંવેદનશીલ ટિપ્પણી અને અદાલતના અગાઉના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.
Supreme Court Rebukes Comedians: શું છે સમગ્ર મામલો?
વર્ષ 2025માં ‘ક્યોર એસએમએ ઈન્ડિયા ફાઉન્ડેશન’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે સમય રૈનાને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દિવ્યાંગોની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા દર મહિને બે શો કરે અને શોમાં દિવ્યાંગોને પણ સામેલ કરે. જોકે, કોર્ટનું અવલોકન છે કે કોમેડિયન્સે આ આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવી છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.
Supreme Court Rebukes Comedians: કોર્ટની લાલ આંખ: “દંડ નહીં ભરો તો 30 લાખ કરી દઈશું”
CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનની બેન્ચે કડક શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, “અમે તમને આઝાદી આપી હતી જેથી તમે સુધારો લાવો, પરંતુ કંઈ થયું નહીં.” અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો બે અઠવાડિયામાં આ 3 લાખ રૂપિયાનો દંડ જમા કરવામાં નહીં આવે, તો દંડની રકમ વધારીને 30 લાખ રૂપિયા કરી દેવામાં આવશે.
Supreme Court Rebukes Comedians: અહંકારનો મુદ્દો અને અસંવેદનશીલતા
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોમેડિયન્સના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “આ લોકો પોતાની નવી સિરીઝમાં પરોક્ષ રીતે સિસ્ટમની મજાક ઉડાવે છે, જે તેમનો અહંકાર દર્શાવે છે.” બીજી તરફ, દિવ્યાંગ સંસ્થાના વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું કે, “અમને પૈસાની જરૂર નથી, પરંતુ કોમેડિયન્સ દ્વારા દિવ્યાંગો પ્રત્યે દર્શાવવામાં આવેલી અસંવેદનશીલતા અને અભદ્રતા સામે લડાઈ છે.”
Supreme Court Rebukes Comedians: અભિવ્યક્તિની આઝાદી અમર્યાદિત નથી
સુપ્રીમ કોર્ટે આ મામલે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અભિવ્યક્તિની આઝાદી અમર્યાદિત નથી. જાહેર મંચ પર શાલિનતા અને સામાજિક જવાબદારીનું પાલન કરવું અનિવાર્ય છે. કોર્ટે યુવા કલાકારોને ચેતવણી આપી હતી કે, જો તેઓ પોતાની રીતભાત સુધારશે નહીં અને સમાજની ભાવનાઓનું સન્માન કરતા નહીં શીખે, તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
આ આદેશથી સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટર્સ અને કોમેડિયન્સ માટે એક કડક સંદેશ ગયો છે કે ‘મનોરંજન’ ના નામે કોઈની ગરિમાને ઠેસ પહોંચાડવી હવે મોંઘી પડી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




