Tragedy at Girnar: ખુશીની સફર માતમમાં ફેરવાઈ જવાની એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના 12 વર્ષના માસૂમ મયુરસિંહનો મૃતદેહ આજે વહેલી સવારે વતન લાવવામાં આવ્યો હતો. એકના એક દીકરાનો નશ્વર દેહ ગામમાં પહોંચતા જ પરિવાર સહિત સમગ્ર પંથકમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. માસૂમ બાળકની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું.
Tragedy at Girnar: યાત્રા બની ગઈ જીવનની છેલ્લી સફર

મહેમદાવાદના મોડજ ગામથી એક પરિવાર હોંશે-હોંશે ગિરનારની યાત્રાએ ગયો હતો. પરિવારને સહેજ પણ અંદાજ નહોતો કે આ પ્રવાસ તેમના જીવનનો સૌથી મોટો આઘાત બની જશે. યાત્રા દરમિયાન સવારે આશરે પોણા છ વાગ્યાની આસપાસ એક સિંહે પાછળથી અચાનક હુમલો કરીને 12 વર્ષના મયુરસિંહને જંગલ તરફ ખેંચી લીધો હતો. ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો જ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
Tragedy at Girnar: ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આપી સાંત્વના

આ કાળજું કંપાવી દે તેવી ઘટનાની જાણ થતાં જ પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તાત્કાલિક મોડજ ગામે મૃતક બાળકના ઘરે પહોંચ્યા હતા. તેઓ બાળકની સ્મશાનયાત્રામાં સહભાગી થયા હતા અને શોકગ્રસ્ત પરિવારને મળીને અસહ્ય દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.
ધારાસભ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ઘટના બની ત્યારથી જ તેઓ ખેડા અને જૂનાગઢના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પીડિત પરિવારને નિયમોનુસારની સરકારી નાણાંકીય સહાય વહેલી તકે મળી રહે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે.”
Tragedy at Girnar: વન વિભાગની બેદરકારી સામે ગ્રામજનોનો ભારે રોષ

આ ઘટનાને પગલે પરિવારના પાડોશી અને પ્રત્યક્ષદર્શી અર્જુનસિંહ ચૌહાણે વન વિભાગ (Forest Department)ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, “સિંહ છેલ્લા ત્રણ દિવસથી તે જ વિસ્તારમાં આંટાફેરા કરતો હતો, છતાં ફોરેસ્ટ વિભાગે કોઈ દરકાર લીધી નહોતી. ઘટના બની ત્યારે પણ વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ સમયસર મદદ માટે ન આવ્યા. વન વિભાગની આ ઘોર બેદરકારીના કારણે જ આજે એક માસૂમનો ભોગ લેવાયો છે.”
હાલમાં માસૂમ મયુરસિંહના મોતથી મોડજ ગામમાં ચૂલો પણ સળગ્યો નથી અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે.




