Tragedy in Oman Sea: ઓમાનના દરિયાકાંઠે સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં ગુજરાતના સલાયાનું એક માલવાહક જહાજ ‘મહેબૂબ-એ-બુખારી’ (રજીસ્ટ્રેશન નંબર BDI 1415) દરિયાના મોજામાં સમાઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે ગુજરાતી ખલાસીઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 12 ખલાસીઓને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

Tragedy in Oman Sea: શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, આ જહાજ ૩ જુલાઈના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા માટે રવાના થયું હતું. મુસાફરી દરમિયાન જ્યારે જહાજ ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક હવામાન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. દરિયાના ઉછળતા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન એકસાથે ફેઈલ થઈ ગયા હતા.
જહાજને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થતાં અને જહાજ પાણીમાં ડૂબવા લાગતા, ટંડેલે સમયસૂચકતા વાપરીને તમામ ૧૪ ખલાસીઓને જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.
Tragedy in Oman Sea: રેસ્ક્યુ ઓપરેશન અને જાનહાનિ
અત્યંત ખરાબ હવામાન અને દરિયાના મજબૂત કરંટ વચ્ચે ઓમાન નેવી અને અન્ય બે ભારતીય જહાજો—’અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’—દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશનમાં ૧૨ ખલાસીઓને હેમખેમ ઉગારી લેવામાં સફળતા મળી હતી, પરંતુ કમનસીબે સલાયાના બે ખલાસીઓ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયાને બચાવી શકાયા ન હતા.
Tragedy in Oman Sea: વતન પરત લાવવા માટે સરકાર પાસે રજૂઆત
સલાયાના આ બે યુવાનોના નિધનથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ તમામ મૃતદેહો અને બચી ગયેલા ૧૨ ખલાસીઓને ઓમાનના દુકમ નજીક એક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે.
ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે વિદેશ મંત્રાલય અને સંબંધિત કચેરીઓને ઈમેલ દ્વારા જાણ કરી છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, મૃતદેહોને વતન પરત લાવવા, જીવિત ખલાસીઓની સુરક્ષિત ઘરવાપસી કરાવવા અને જરૂરી કાનૂની પ્રક્રિયામાં તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સેન્સેક્સ 238 પોઈન્ટના ઉછાળા સાથે 76,742 પર બંધ, રોકાણકારોમાં ઉત્સાહ




