Bayad Land Fraud: અરવલ્લી જિલ્લાના બાયડમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાનું એક હેરતભર્યું અને ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે સનસનાટીભર્યા આક્ષેપો કરીને સરકારી તંત્ર અને સબ-રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.

Bayad Land Fraud: ૫૩ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂત ૨૦૨૫માં ‘જીવતા’ થયા!
કૌભાંડની વિગત એવી છે કે બાયડ પંથકની કરોડોની કિંમતી જમીન સગેવગે કરવા માટે એક આખું નકલી નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. યુવરાજસિંહના આક્ષેપ મુજબ, જે ખેડૂત છગનભાઈ પટેલનું મૃત્યુ ૫૩ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૧૯૭૨માં થઈ ચૂક્યું હતું, તેમને વર્ષ ૨૦૨૫માં સરકારી કાગળો પર ‘જીવતા’ બતાવીને તેમના નામે પાવર ઓફ એટર્ની (Power of Attorney) કરાવી લેવામાં આવી હતી.

Bayad Land Fraud: દસ્તાવેજોમાં મોટો વિરોધાભાસ: જન્મ ૧૯૭૧માં અને જમીન માલિકી ૧૯૫૦થી!
આ કૌભાંડ આચરવા માટે જે સરકારી પુરાવા અને બોગસ દસ્તાવેજો ઊભા કરાયા, તેમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વિગતો અનુસાર, કૌભાંડીઓએ જે નકલી ઓળખપત્રો તૈયાર કર્યા તેમાં છગનભાઈનું જન્મ વર્ષ ૧૯૭૧ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ જમીનના સરકારી દસ્તાવેજોમાં એ જ જમીનની માલિકી વર્ષ ૧૯૫૦થી તેમની પાસે હોવાનું દર્શાવાયું છે! આમ, જન્મ પહેલાં જ જમીનની માલિકી હોવાનો આ હાસ્યાસ્પદ અને મોટો વિરોધાભાસ કૌભાંડની ચાડી ખાય છે.

Bayad Land Fraud: અન્ય વ્યક્તિના આધારકાર્ડનો ખેલ અને અધિકારીઓની મિલીભગતની આશંકા
સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ છે કે આ ખેલ પાર પાડવા માટે ઠાકોર મોહતજી નામના વ્યક્તિના આધારકાર્ડ અને ઓળખપત્રનો ઉપયોગ કરીને તેના પર મૃતક છગનભાઈ પટેલને જીવિત દર્શાવવામાં આવ્યા હતા. નિયમ મુજબ કોઈપણ જમીનના વેચાણ માટે ‘વારસાઈ પેઢીનામું’ અનિવાર્ય હોવા છતાં, બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીએ આ દસ્તાવેજ વગર જ વેચાણ દસ્તાવેજ કેવી રીતે નોંધી દીધો? તે બાબત સરકારી અધિકારીઓની સીધી મિલીભગત તરફ આંગળી ચિંધે છે.
Bayad Land Fraud: FIR અને નાણાકીય વ્યવહારોની તપાસની માંગ
આ કરોડોના જમીન કૌભાંડનો પર્દાફાશ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં નકલી ખેડૂત બનનાર, જમીન ખરીદનાર અને આ કાળા કારોબારમાં ઉભા રહેલા તમામ નકલી સાક્ષીઓ સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ (FIR) દાખલ થવી જોઈએ. આ ઉપરાંત આ સોદામાં ચેક દ્વારા જે પણ નાણાકીય વ્યવહારો કે બેંક ટ્રાન્ઝેક્શન થયા છે, તેની તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણા મોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ છે. હાલ આ કૌભાંડને પગલે સમગ્ર અરવલ્લી અને ગાંધીનગરના મહેસૂલ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




