Rare Medical Case: તબીબી વિજ્ઞાનને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવો એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો કિસ્સો પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ (બનાસ હોસ્પિટલ)માં સામે આવ્યો છે. સામાન્ય રીતે કૂતરા, બિલાડી કે વાંદરા કરડવાથી હડકવા થતો હોય છે, પરંતુ અહીં રાજસ્થાનની એક 45 વર્ષીય મહિલાને નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવા (Rabies) થતાં ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
હોસ્પિટલમાં દાખલ આ મહિલાની સ્થિતિ અત્યારે અત્યંત ગંભીર છે અને તે પાણી જોતાં જ તરફડિયા મારી રહી છે.

Rare Medical Case: ‘નોળિયાથી હડકવા ન થાય’ તેવી સલાહ ભારે પડી
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની 45 વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને દોઢ મહિના અગાઉ એક નોળિયો કરડ્યો હતો. નોળિયો કરડ્યા બાદ તેઓ તાત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જ્યાં તેમને એન્ટી-રેબીઝ વેક્સીન (હડકવા વિરોધી રસી)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
જોકે, જ્યારે તેઓ બાકીના ડોઝ લેવા માટે ફરી હોસ્પિટલ ગયા, ત્યારે ત્યાંના સ્થાનિક સ્ટાફ કે ડોક્ટરે એવી સલાહ આપી કે, “નોળિયાના કરડવાથી ક્યારેય હડકવા થતો નથી, એટલે હવે બાકીના ઇન્જેક્શન નહીં લો તો પણ ચાલશે.” આ ખોટી સલાહને કારણે મહિલાએ રસીનો કોર્સ અધૂરો છોડી દીધો અને આગળના ઇન્જેક્શન ન લીધા.

Rare Medical Case: હાઇડ્રોફોબિયા: પાણી જોતાં જ ભયનો માહોલ
૧૭ જૂનના રોજ ડાળીબેનની તબિયત બગડતાં તેમને પાલનપુરની બનાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સિવિલ સર્જન ડો. સુનીલ જોશીએ જણાવ્યું કે, મહિલામાં હડકવાના સ્પષ્ટ લક્ષણો દેખાઈ રહ્યા છે.
“મહિલામાં હાઇડ્રોફોબિયા (Hydrophobia – પાણીનો ભય)ના ગંભીર લક્ષણો છે. પાણી તેમની સામે ધરતાં જ તેઓ એકદમ ગભરાઈ જાય છે, પાણી પી શકતા નથી અને તરફડિયા મારવા લાગે છે. મેં મારી આખી તબીબી કારકિર્દીમાં નોળિયો કરડવાથી હડકવા થયો હોય તેવો કિસ્સો ક્યારેય જોયો નથી.” — ડો. સુનીલ જોશી, બનાસ મેડિકલ કોલેજ
Rare Medical Case: તબીબી વિજ્ઞાન લાચાર: બચવાની શક્યતા નહિવત
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હડકવા (Rabies) એક એવો જીવલેણ વાયરસ છે કે જેની સામે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. જો વાયરસ શરીરમાં ફેલાઈ જાય અને એકવાર તેના લક્ષણો દેખાવાનું શરૂ થઈ જાય, પછી તબીબી વિજ્ઞાન પાસે તેને મટાડવાની કોઈ દવા નથી.
લક્ષણો દેખાયા બાદ આ વાયરસ મગજની અંદર ‘નેગ્રી બોડી’ (Negri bodies) નામના કણો પેદા કરે છે, જે સીધી મગજની સિસ્ટમ પર હુમલો કરે છે. આ સ્થિતિમાં દર્દીનું બચવું અશક્ય બની જાય છે. હાલ આ દર્દીની સ્થિતિ પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
Rare Medical Case: સામાન્ય જનતા માટે લાલબત્તી સમાન કિસ્સો
આ કિસ્સો દરેક વ્યક્તિ માટે એક ચેતવણી સમાન છે. વન્યજીવ કે કોઈપણ અજાણ્યું પ્રાણી કરડે ત્યારે સ્થાનિક અફવાઓ કે અધૂરી સલાહ પર વિશ્વાસ રાખવાના બદલે એન્ટી-રેબીઝ વેક્સીન (ARV)ના તમામ ડોઝ નિયમિત અને પૂરા લેવા અત્યંત જરૂરી છે, જેથી આવા જીવલેણ જોખમથી બચી શકાય.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરતના અક્ષત બેરીવાલે મેળવ્યો ઓલ ઈન્ડિયા 10મો રેન્ક, વડોદરામાં સ્કૂલવાન ચાલકના પુત્રએ રચ્યો ઈતિહાસ




