રાજકોટ:
Good News for Rajkot: રાજકોટ શહેરથી જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા લાખો વાહનચાલકો માટે ભારે રાહતના સમાચાર સામે આવ્યા છે. જૂના એરપોર્ટ નજીક છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી રેલવે ઓવરબ્રિજ એટલે કે ‘સાંઢિયાપુલ’ની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે અને આ ફોરલેન બ્રિજ ટૂંક સમયમાં જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બ્રિજ શરૂ થતાંની સાથે જ દરરોજ અંદાજિત 1 લાખ જેટલા વાહનચાલકોના સમય અને ઈંધણની મોટી બચત થશે.
Good News for Rajkot: 46 વર્ષ જૂનો બ્રિજ તોડીને બનાવાયો અત્યાધુનિક ફોરલેન ફ્લાયઓવર

અહીં પહેલા 46 વર્ષ જૂનો ટુ-લેન પુલ હતો, જે જર્જરિત થતાં તેના નવીનીકરણ માટે રૂ. 74.32 કરોડના ખર્ચે નવો ફોરલેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 7 માર્ચ 2024ના રોજ આનું ખાતમુહૂર્ત કરાયા બાદ, મે 2024થી જૂનો પુલ તોડીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવો બનેલો આ બ્રિજ 16.40 મીટર પહોળો અને 602 મીટર લાંબો છે, જેમાં સેન્ટ્રલ સ્પાન સહિત કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે. ચોમાસામાં પાણીના નિકાલ માટે ખાસ 2 આર.સી.સી. બોક્ષ કલવર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Good News for Rajkot: અંતર અને સમય બંને અડધા થઈ જશે

હાલમાં બ્રિજ બંધ હોવાના કારણે એસટી બસો અને ભારે વાહનોએ શહેરની મધ્યમાંથી (કાલાવડ રોડ, રૈયા રોડ અને 150 ફૂટ રિંગ રોડ) થઈને 10 કિમીનો લાંબો ચકરાવો લેવો પડતો હતો, જેમાં 30 મિનિટથી વધુ સમય બગડતો હતો. હવે નવો બ્રિજ શરૂ થતાં રાજકોટ બસ પોર્ટથી માધાપર ચોકડી સુધીનું અંતર ઘટીને માત્ર 5 કિમી થઈ જશે અને મુસાફરી માત્ર 15 મિનિટમાં પૂરી થશે.
Good News for Rajkot: ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અને AIIMS માટે સીધો રસ્તો


આ બ્રિજ શરૂ થવાથી હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર જવું સરળ બનશે. ભારે વાહનો આ રૂટ પર ડાયવર્ટ થતાં શહેરની અંદરનો ટ્રાફિક પણ હળવો થશે. આ ઉપરાંત, ગુજરાતની પ્રથમ એઇમ્સ (AIIMS) હોસ્પિટલને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે પણ મેડિકલ ઈમરજન્સીમાં આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.
મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં આ નવનિર્મિત સાંઢિયાપુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમેરિકામાં એર શો દરમિયાન મોટી દુર્ઘટના હવામાં જ ટકરાયા ૨ લડાકુ વિમાનો, ૪ પાયલોટનો ચમત્કારિક બચાવ




