Panic in the Skies: હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 108માં લેન્ડિંગ બાદ પાવર બેંકમાં બ્લાસ્ટ થવાની સળગતી ઘટના સામે આવી છે. ફ્લાઇટ એરપોર્ટ પર ઊભી હતી તે દરમિયાન સીટ નંબર 39-C પર બેઠેલા એક મુસાફરની બેગમાં રાખેલી પાવર બેંકમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનાને કારણે વિમાનની કેબિનમાં ભારે ધુમાડો ભરાઈ ગયો હતો અને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે તમામ 198 મુસાફરો, બે બાળકો અને છ ક્રૂ મેમ્બર્સને ઇમરજન્સી ગેટ દ્વારા સ્લાઇડર લગાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 5 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Panic in the Skies: ક્રૂ મેમ્બર્સની સતર્કતાથી મોટી હોનારત ટળી

બપોરે 3:29 વાગ્યે ફ્લાઇટનું સુરક્ષિત ઉતરાણ થયું હતું. વિમાન જ્યારે વે 1 નજીક પહોંચી રહ્યું હતું ત્યારે જ પાવર બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. કેબિન ક્રૂએ તાત્કાલિક સ્ફૂર્તિ દાખવીને ફાયર સેફ્ટી ઉપકરણોની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. જોકે, ધુમાડો ફેલાઈ જતાં બપોરે 3:35 વાગ્યે ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ કટોકટીના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. વાયુસેનાની ફાયર ટેન્ડર ટીમ પણ બપોરે 3:38 વાગ્યે ઘટનાસ્થળે દોડી આવી હતી.
Panic in the Skies: સ્લાઇડિંગ ડોરથી બહાર કઢાતા મહિલા મુસાફર ઇજાગ્રસ્ત

એરપોર્ટ ઓથોરિટીએ ઇમરજન્સી ગેટ પર ફૂલી શકાય તેવા સ્લાઇડર્સ (સરકપટ્ટી) લગાવ્યા હતા. મુસાફરોને જ્યારે બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે સીટ નંબર 25F પર બેઠેલી રિચા નામની મહિલા મુસાફરને પગની ઘૂંટીમાં સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તમામ યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિમાનને ફરી ઓપરેશનમાં લાવતા પહેલાં તેની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે. પાવર બેંકમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીની ટીમો કરી રહી છે.
DGCA નો કડક નિયમ: ફ્લાઇટમાં પાવર બેંકથી ચાર્જિંગ પર પ્રતિબંધ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ જાન્યુઆરી 2026 થી ફ્લાઇટ દરમિયાન પાવર બેંક દ્વારા મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ચાર્જ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. લિથિયમ બેટરીઓ ઓવરહીટ થવાને કારણે આગ લાગવાનું મોટું જોખમ રહે છે. આથી, પાવર બેંકને માત્ર હેન્ડ બેગેજમાં જ રાખવાની મંજૂરી છે, તેને ઓવરહેડ કેબિન કે લગેજ રેકમાં રાખવાની સખત મનાઈ છે, કારણ કે ત્યાં આગ લાગે તો ક્રૂ મેમ્બર્સને તરત ખ્યાલ આવતો નથી.
અન્ય ઘટના: ચેન્નઈ એરપોર્ટ પર ચાલુ ફ્લાઇટમાંથી મુસાફર કૂદ્યો

તાજેતરમાં જ વિમાન પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ચૂક ભોગવવી પડે તેવી અન્ય એક ચોંકાવનારી ઘટના 3 મેના રોજ ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. શારજાહથી 231 મુસાફરો સાથે આવેલી એર અરેબિયાની ફ્લાઇટ (G9 471) સવારે 3:23 વાગ્યે રનવે પરથી ટર્મિનલ તરફ જઈ રહી હતી, ત્યારે જ મોહમ્મદ શરીફ નજમુદ્દીન નામનો 29 વર્ષીય મુસાફર ચાલુ વિમાનનો ઇમરજન્સી ગેટ ખોલીને નીચે કૂદી પડ્યો હતો.
પાઇલટે તરત જ વિમાન રોકીને તંત્રને એલર્ટ કર્યું હતું. કૂદવાને કારણે ઘાયલ થયેલો આ મુસાફર એરપોર્ટના કોમર્શિયલ એરિયા તરફ ભાગવા લાગ્યો હતો, જેને સુરક્ષાકર્મીઓએ ઝડપી પાડી સારવાર માટે ખસેડ્યો હતો. પાછલા થોડા દિવસોમાં બનેલી આ ઘટનાઓએ એરપોર્ટ સુરક્ષા અને મુસાફરોના વ્યવહાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડાપ્રધાનના સંભવિત જામનગર પ્રવાસને લઈ મનપા એક્શનમાં, એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબાણ હટાવવાની મેગા ઝુંબેશ




