Row at Gandhinagar’s Hillwoods School: રાજ્યના પાટનગર સેક્ટર-25માં આવેલી જાણીતી હિલવુડ સ્કૂલ (Hillwoods School) અત્યારે ગંભીર વિવાદમાં સપડાઈ છે. દેશનું ગૌરવ વધારનાર અને નાયબ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયેલા એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તથા તેની 8 વર્ષની માસૂમ બહેનને શાળા પ્રશાસન દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હોવાના સનસનીખેજ આક્ષેપો સાથે વાલીએ પોલીસ ફરિયાદ કરી છે.
Row at Gandhinagar’s Hillwoods School: શું છે વિવાદનું મુખ્ય કારણ?

ધોરણ 8માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી અત્યાર સુધીમાં 63 જેટલા એવોર્ડ્સ જીતી ચૂક્યો છે. જાપાનની પ્રતિષ્ઠિત કાઓ કોર્પોરેશનની સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામનાર તે ગુજરાતનો એકમાત્ર ખેલાડી હતો. પિતા ચતુર્ભુજ રામાણીનો આક્ષેપ છે કે, સ્કૂલની મંજૂરી વગર સ્પર્ધામાં ભાગ લેવા બદલ શાળાના અમુક શિક્ષકો અને સંચાલકોએ બાળક પ્રત્યે દ્વેષ રાખવાનું શરૂ કર્યું હતું. તેની સફળતાની નોંધ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી, પરંતુ સ્કૂલે પ્રોત્સાહન આપવાને બદલે તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરાયો છે.
Row at Gandhinagar’s Hillwoods School: વાલીના ગંભીર આક્ષેપો:

- રિઝલ્ટમાં ચેડાં: વાલીનો આક્ષેપ છે કે બાળકના શૈક્ષણિક રિઝલ્ટ અને ડ્રોઈંગ બુકમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી છે.
- માસૂમ બહેનને પણ ન છોડી: બાળકની 8 વર્ષની નાની બહેન (ધોરણ-2) ને પણ કિન્નાખોરીનો ભોગ બનાવાઈ છે. આર્ટ ટીચર સોનલ દત્તા દ્વારા બાળકીના ચિત્રો બગાડીને તેને માનસિક પીડા આપ્યાનો આક્ષેપ છે.
- ટીસી (TC) વિવાદ: વાલીના જણાવ્યા મુજબ, ટીસીમાં પણ શાળા દ્વારા ગરબડ કરવામાં આવી છે.
Row at Gandhinagar’s Hillwoods School: શાળા પ્રશાસનનો બચાવ

બીજી તરફ, હિલવુડ સ્કૂલના પ્રિન્સિપાલ સ્મિતા અલોટએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે:
“અમારી સ્કૂલ તરફથી બાળકોને કોઈ ટોર્ચરિંગ કરાયું નથી. રિઝલ્ટ CBSE ના નિયમો મુજબ જ બનાવાયું છે. વાલી ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) માં તેમના કહ્યા મુજબ ફેરફાર કરવાનું દબાણ કરી રહ્યા છે. જો અમે રિઝલ્ટ બદલીએ તો બાળકની ટકાવારી 96% થી ઘટીને 91% થઈ શકે છે.”
તપાસનો ધમધમાટ

જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પાસે ન્યાય ન મળતા આખરે વાલીએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં આર્ટ ટીચર, પ્રિન્સિપાલ અને અન્ય વહીવટદારો વિરુદ્ધ લેખિત અરજી આપી છે. DEO ભગવાન પ્રજાપતિએ જણાવ્યું છે કે, સોમવારે બંને પક્ષોને બોલાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વાલીની માંગ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ પણ શાળા તેજસ્વી બાળકોની કારકિર્દી સાથે આવા ચેડાં ન કરી શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : માનવતા શરમાઈ વાપી હાઈવે પર રાહદારીનું અકસ્માતમાં મોત, 20 મિનિટ સુધી લાશ પરથી વાહનો કચડીને પસાર થતા રહ્યા!




