Tragedy Near Chotila: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે આજે વહેલી સવારે રક્તરંજિત બન્યો છે. ચોટીલાથી માત્ર 7 કિમી દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે કાર, ટ્રક અને પીકઅપ વાન વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Tragedy Near Chotila: કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, હાઈવે પર ઉભેલા એક ટ્રકની પાછળ પહેલા એક પીકઅપ વાન ધડાકાભેર અથડાઈ હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ વાહનો સાથે કાળ બનીને ભટકાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ત્રણેય વાહનોના કુરચેકુરચા બોલી ગયા હતા.

Tragedy Near Chotila: દર્શન કરી પરત ફરતા નડ્યો કાળ
અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. ભક્તિભાવ સાથે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ માર્ગમાં કાળ ભેટ્યો હતો.
- મૃતકો: સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (28 વર્ષ) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (16 વર્ષ).
- ઇજાગ્રસ્તો: હર્ષદભાઈ ઠાકોર, કલ્પેશભાઈ ઠાકોર અને 3 વર્ષનો માસૂમ દિવ્યાંશ. તમામની હાલત નાજુક હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે.
પોલીસે ક્રેનની મદદથી વાહનો હટાવી હાઈવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો.
Tragedy Near Chotila: કેશોદમાં દારૂ ભરેલી ઇનોવા પલટી, ફિલ્મી ઢબે પીછો

જૂનાગઢના કેશોદ પંથકમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી.
- નુકસાન અને ઇજા: કારમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે. અકસ્માતમાં 3 બુટલેગરો દબાઈ જવાથી ઇજાગ્રસ્ત થયા છે.
- ફરાર: બે શખ્સો પોલીસને હાથતાળી આપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા છે.
વધુ સમાચાર વાંચવા અંહી ક્લિક કરો : મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડ્યો, યુવકનું મોઢું છુંદાઈ જતાં લોહીની નદીઓ વહી




