Surat Fire Tragedy:ડાયમંડ સિટી સુરતમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક એમ્બ્રોઈડરીના કારખાનામાં ભીષણ આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરના વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૧ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Surat Fire Tragedy:વહેલી સવારે સર્જાયો કાળો કેર

આજે ૧૯ માર્ચની વહેલી સવારે અંદાજે ૦૫:૩૦ વાગ્યે કાપોદ્રા રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળી હતી. G+3 (ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળ)ની આ ઇમારતમાં આગ લાગતા જ અંદર કામ કરી રહેલા મજૂરો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રહેલા LPG સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
Surat Fire Tragedy:પતરા તોડીને ૧૧ કામદારોનું દિલધડક રેસ્ક્યૂ

આગ ત્રીજા માળે ફેલાઈ હોવાથી અનેક કામદારો ત્યાં પતરાના શેડમાં ફસાયા હતા. સુરત ફાયર વિભાગની ચાર સ્ટેશનની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળના પતરા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. જીવના જોખમે ફાયરના જવાનોએ કુલ ૧૧ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
Surat Fire Tragedy:જાનહાનિ અને ઈજાની વિગતો

- મોત: રેસ્ક્યૂ કરાયેલા અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખસેડાયેલા લોકોમાંથી ૨ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે.
- ઈજાગ્રસ્ત: કુલ ૧૧ લોકો ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- સિલિન્ડર: ઘટનાસ્થળેથી કુલ ૮ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી ૨ ફાટ્યા હતા અને બાકીના ૬ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
“અમે પહોંચ્યા ત્યારે સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ ખૂબ જ ભીષણ હતી. પતરા તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. હાલ આગ કાબૂમાં છે પણ સાવચેતીના ભાગરૂપે ટીમો તૈનાત છે.” – રણજીતસિંહ ખડિયા, ડિવિઝનલ ફાયર ઓફિસર
પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હવે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો :માવઠાની માર અને પવનનો ફફડાટ: ગુજરાતમાં ૪૦ કિમીની ઝડપે ફૂંકાયા પવન, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો




