Ahmedabad News : અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ બાદ હવે પૂર્વ અને પશ્ચિમને જોડતો વધુ એક મહત્વનો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા વચ્ચે આવેલો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી આગામી 11 મહિના સુધી અહીંથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
Ahmedabad News : બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત

તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ અત્યંત જર્જરિત થઈ ગયા છે. આ સ્થિતિમાં બ્રિજ પરથી ભારે કે મધ્યમ માલવાહક વાહનો તેમજ પેસેન્જર વાહનો પસાર કરવા જોખમી હોવાથી તાત્કાલિક રીપેરીંગની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. વિશાલા સર્કલથી પિરાણા સર્કલ સુધીનો અંદાજે 4 કિલોમીટરનો રસ્તો બંધ રહેશે.
Ahmedabad News : વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ (ડાયવર્ઝન)
બ્રિજ બંધ રહેવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા નવા ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે:
- લાંભા/જશોદાનગરથી આવતા વાહનો: પિરાણા જંકશનથી જમણી બાજુ ડમ્પિંગ સાઈટ થઈ બહેરામપુરા, ત્યાંથી આંબેડકર બ્રિજ થઈ અંજલી ચાર રસ્તા અને વાસણા-વિશાલા તરફ જઈ શકશે.
- સરખેજ/જુહાપુરાથી આવતા વાહનો: અંજલી ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ થઈ કેલિકો મિલથી પિરાણા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
રાત્રિના સમયે ખાસ બંદોબસ્ત
બ્રિજ રીપેરીંગની કામગીરી લાંબો સમય ચાલવાની હોવાથી, રાત્રિના સમયે કોઈ વાહનચાલક ભૂલથી બ્રિજ પર ન ચઢી જાય તે માટે ખાસ ટ્રાફિક પોલીસ અને સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. આ બ્રિજ બંધ થવાથી પિરાણા અને વિશાલા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો : પુણાની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા 5મા માળ સુધી પહોંચતા ‘બ્રિગેડ કોલ’ જાહેર




