Historic Moment in Vadodara:ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે છેલ્લા 6 દાયકાથી સુરક્ષિત રખાયેલા ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોને પ્રથમવાર જાહેર દર્શન માટે બહાર લાવવામાં આવ્યા છે. શ્રીલંકાના કોલંબોમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલન માટે આ અવશેષોને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
Historic Moment in Vadodara:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાર્ડ ઓફ ઓનર

આ ઐતિહાસિક અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી. તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બૌદ્ધ સાધુઓના મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે, મુખ્યમંત્રીએ આ પવિત્ર અવશેષોને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી વિદાય આપી હતી. આ પ્રસંગની ભવ્યતામાં ત્યારે વધારો થયો જ્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 72 દેશોના વિદ્યાર્થીઓએ પોતપોતાના દેશના ધ્વજ સાથે ઉભા રહીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું અને વૈશ્વિક એકતાનો સંદેશ આપ્યો.
Historic Moment in Vadodara:દેવની મોરી સ્તૂપ અને પવિત્ર મંજૂષાનો ઇતિહાસ
ભગવાન બુદ્ધના આ અસ્થિ અવશેષોનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે:
- ઉત્ખનન: વર્ષ 1960 થી 1963 દરમિયાન શામળાજી નજીક આવેલા દેવની મોરી સ્તૂપના ખોદકામ વખતે આ અણમોલ વારસો મળી આવ્યો હતો.
- મંજૂષા: સ્તૂપમાંથી લીલા પથ્થર (ગ્રીન શિસ્ટ)ની એક કલાત્મક મંજૂષા મળી હતી, જેના પર બ્રાહ્મી લિપિમાં ‘દશબલ શારીર નિલય’ કોતરાયેલું છે, જેનો અર્થ થાય છે – ‘ભગવાન બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસસ્થાન’.
- સુરક્ષા: આ અવશેષોને છેલ્લા 63 વર્ષથી MSU ના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી (એરટાઈટ ડેસીકેટરમાં) સાચવવામાં આવ્યા છે.

શ્રીલંકામાં 11 દિવસીય પ્રદર્શન
આ પવિત્ર અવશેષોને કડક સુરક્ષા વચ્ચે બુલેટપ્રૂફ કાચમાં પેક કરી વડોદરા એરપોર્ટથી દિલ્હી અને ત્યાંથી શ્રીલંકા મોકલવામાં આવશે. કોલંબોમાં સતત 11 દિવસ સુધી શ્રદ્ધાળુઓ તેના દર્શન કરી શકશે. ભારત અને શ્રીલંકા વચ્ચેના ધાર્મિક અને રાજદ્વારી સંબંધોને આ ઘટના વધુ મજબૂત બનાવશે.
Historic Moment in Vadodara:વડોદરામાં બનશે કાયમી સ્તૂપ

રાજમાતા શુભાંગીરાજે ગાયકવાડે આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અવશેષો શ્રીલંકાથી પરત આવ્યા બાદ યુનિવર્સિટી પરિસરમાં જ એક નાનકડું સ્તૂપ બનાવવાનું આયોજન છે. જેથી ભવિષ્યમાં સામાન્ય જનતા અને પર્યટકો સરળતાથી આ પવિત્ર ધરોહરના દર્શન કરી શકે.
“વર્ષ 1963થી સુરક્ષિત રખાયેલી આ અમૂલ્ય અસ્થિઓને પહેલીવાર જાહેરમાં લાવવી એ એક ભાવુક અને ઐતિહાસિક ક્ષણ છે.” – કલ્પના ગવલી (ડીન, ફેકલ્ટી ઓફ આર્ટ્સ)
આ પણ વાંચો :Major Relief for Farmers: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે ગેરકાયદે ‘ઇનામી જમીનો’ થશે કાયદેસર,




