Midday Meal Triggers Food Poisoning:પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ-પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરે દાળ-ભાતનું ભોજન લીધા બાદ અચાનક 38 વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Midday Meal Triggers Food Poisoning:પહેલા 10 અને બાદમાં વધુ વિદ્યાર્થિનીઓને અસર

પ્રાથમિક માહિતી અનુસાર, શરૂઆતમાં આશરે 10 વિદ્યાર્થિનીમાં ઊલટી, ચક્કર અને પેટમાં દુખાવાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ થોડા સમયમાં વધુ વિદ્યાર્થિનીઓમાં પણ સમાન લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયેલી સંખ્યા વધીને 38 થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક સારવાર તેમજ ભોજનના નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરી હતી.
Midday Meal Triggers Food Poisoning:વાલીઓનો આક્ષેપ: સ્કૂલ સંચાલનમાં બેદરકારી
આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત એક વિદ્યાર્થિનીના ભાઈ ખરાડી મુકેશે જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી છે. “35થી વધુ છોકરીઓની તબિયત ખરાબ થઈ હોવા છતાં વાલીઓને સમયસર જાણ કરવામાં આવી નથી. મને પણ મારી બીજી બહેને ફોન કરીને માહિતી આપી હતી. આ મામલે જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઈએ,” તેમ તેમણે જણાવ્યું હતું.
Midday Meal Triggers Food Poisoning:તમામ વાલીઓને જાણ કરાઈ છે: આચાર્ય

આક્ષેપોને ફગાવતા સ્કૂલના આચાર્ય સંજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. “હું પોતે રાત્રે હોસ્પિટલમાં હાજર હતો. શિક્ષિકાઓને તમામ વિદ્યાર્થિનીઓને તેમના પરિવાર સાથે વાત કરાવવાની સૂચના આપવામાં આવી હતી. શક્ય હોય ત્યાં વીડિયો કોલ દ્વારા પણ પરિવાર સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો,” તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી.
એક-બે સિવાય તમામની તબિયત સારી
બનાસ મેડિકલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં એક-બે વિદ્યાર્થિની સિવાય બધીની તબિયત સ્થિર છે. “તમામને જરૂરી દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવ્યા છે, જેના કારણે ઊલટી અને દુખાવામાં રાહત મળી છે. હાલ 38 વિદ્યાર્થિનીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે,” તેમ તેમણે જણાવ્યું.
આરોગ્ય વિભાગની બે ટીમો તપાસમાં
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભરમાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. એક ટીમ સારવારનું કામ કરી રહી છે, જ્યારે બીજી ટીમ સર્વેલન્સ અને ફૂડ સેમ્પલની તપાસ કરી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :AMC Demolition :ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, AMC દ્વારા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન શરૂ




