NPS Rules Amended: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં રોકાણ કરતા બિન-સરકારી સબ્સક્રાઇબર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેન્શન નિયમનકારી સંસ્થા PFRDAએ NPSના નિયમોમાં સુધારો કરીને એક્ઝિટ સમયે અથવા પેન્શન ખાતું બંધ કરતી વખતે કુલ જમા ભંડોળના 80 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી છે. અગાઉ આ મર્યાદા માત્ર 60 ટકા હતી.
નિયમોમાં કરાયેલા આ ફેરફારથી NPS સબ્સક્રાઇબર્સને તેમની વ્યક્તિગત જરૂરિયાતો મુજબ ભંડોળનો વધુ સ્વતંત્રતાથી ઉપયોગ કરવાની તક મળશે. અગાઉ એક્ઝિટ સમયે 60 ટકા રકમ ઉપાડ્યા બાદ બાકી 40 ટકા રકમમાંથી માસિક પેન્શન મેળવવી ફરજિયાત હતી. હવે નવા નિયમ મુજબ 80 ટકા રકમ ઉપાડી શકાશે અને માત્ર 20 ટકા રકમમાંથી પેન્શન મળશે.

NPS Rules Amended: NPS ખાતા પર લોન લેવાની પણ મંજૂરી
12 ડિસેમ્બર 2025ના રોજ નિયમોમાં કરાયેલા સુધારા મુજબ હવે NPS ખાતાને ગીરવે રાખીને PFRDA દ્વારા નિર્ધારિત મર્યાદામાં બેંકો અથવા નાણાં સંસ્થાઓ પાસેથી લોન પણ લઈ શકાશે. આ નિર્ણયથી સબ્સક્રાઇબર્સને તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં સહાય મળશે.
NPS Rules Amended: આંશિક ઉપાડની સંખ્યા 3થી વધારી 4
PFRDAએ NPSમાં આંશિક ઉપાડની સંખ્યા અગાઉની 3માંથી વધારીને 4 કરી છે. જોકે, દરેક આંશિક ઉપાડ વચ્ચે ઓછામાં ઓછો 4 વર્ષનો સમયગાળો ફરજિયાત રહેશે. ઉપરાંત, 60 વર્ષની નિવૃત્તિ વય બાદ ઓછામાં ઓછા 3 વર્ષના સમયગાળા સાથે ત્રણ વખત આંશિક ઉપાડ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ માટે પણ ફેરફાર
સરકારી કર્મચારીઓના કેસમાં એક્ઝિટની મહત્તમ ઉંમર 75 વર્ષથી વધારીને 85 વર્ષ કરી દેવામાં આવી છે. હવે સરકારી કર્મચારીઓ 85 વર્ષની ઉંમર સુધી અથવા એક્ઝિટ વિકલ્પનો ઉપયોગ ન કરે ત્યાં સુધી NPSમાં રોકાણ ચાલુ રાખી શકશે. જોકે, સરકારી કર્મચારીઓ માટે એક્ઝિટ સમયે 60 ટકા સુધીની રકમ ઉપાડવાની મર્યાદા યથાવત્ રાખવામાં આવી છે.
સબ્સક્રાઇબર્સને મળશે વધુ લાભ
NPSના નિયમોમાં થયેલા આ ફેરફારોને કારણે બિન-સરકારી સબ્સક્રાઇબર્સને વધુ લવચીકતા મળશે તેમજ નિવૃત્તિ પછીના આયોજનમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે. નાણાકીય નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી NPS પ્રત્યે લોકોનો વિશ્વાસ વધશે અને વધુ લોકો આ પેન્શન યોજના સાથે જોડાશે.




