Terror in Islamabad: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ આજે ભયાનક આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી છે. શુક્રવારે (જુમ્મા) નમાજ દરમિયાન એક શિયા મસ્જિદ (ઇમામબાડા)ને નિશાન બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટમાં 69 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 169થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ઇસ્લામાબાદમાં કટોકટી (Emergency) જાહેર કરી દેવામાં આવી છે.
Terror in Islamabad: નમાજ દરમિયાન મચી ચીસિયારીઓ

પાકિસ્તાની અખબાર ‘ડોન’ના અહેવાલ મુજબ, જ્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે જ આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મસ્જિદના પરિસરમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે અને તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ગંભીર રીતે ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે છે.
Terror in Islamabad: સરકારની આકરી નિંદા: “આ માનવતા વિરુદ્ધનો ગુનો”
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ હુમલાને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવતા સખત નિંદા કરી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા છે. બીજી તરફ, મંત્રી ડો. તારિક ફઝલ ચૌધરીએ જણાવ્યું કે, “આવી આતંકી ઘટનાઓ દેશનો જુસ્સો તોડી શકતી નથી. આપણે આતંકવાદ સામે એકજૂટ થવાની જરૂર છે.”
Terror in Islamabad: આતંકવાદના ભરડામાં પાકિસ્તાન

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે:
- ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025: પાકિસ્તાન હવે વિશ્વનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે.
- સંગઠનોનો કહેર: TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ના હુમલામાં 90% અને બલુચ આર્મી (BLA) ના હુમલામાં 60% નો વધારો થયો છે.
- અગાઉની ઘટના: ત્રણ મહિના પહેલા જ ઇસ્લામાબાદની કોર્ટ બહાર થયેલા હુમલામાં 12 લોકોના મોત થયા હતા.
ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન બાદ હવે રાજધાની ઇસ્લામાબાદ પણ આતંકવાદીઓના નિશાન પર હોવાથી સુરક્ષા એજન્સીઓ સામે મોટા સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો :Air India : એર ઇન્ડિયાના 70% વિમાનોમાં ટેકનિકલ ખામીઓ! સરકારના આંકડાઓએ ઉડ્ડયન સુરક્ષા પર ઊભા કર્યા સવાલ




