Somnath Swabhiman Parv:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર અને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય **‘સોમનાથ સ્વાભિમાન પર્વ’**ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે રેલવે વિભાગ દ્વારા 4 દિવસ માટે સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટથી સોમનાથ જવા માટેની પ્રથમ સ્પેશિયલ ટ્રેન રાત્રે 12 વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ હતી. આ સમયે ડમરુ અને કરતાલના નાદ સાથે સ્ટેશન પર ભક્તિમય અને દિવ્ય ધાર્મિક માહોલ સર્જાયો હતો.

Somnath Swabhiman Parv:ડબલ સંયોગે યોજાઈ રહ્યું છે સ્વાભિમાન પર્વ
સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન એક ઐતિહાસિક ડબલ સંયોગના અવસરે કરવામાં આવ્યું છે. ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને હવે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે લીધેલા સંકલ્પને 75 વર્ષ પૂર્ણ થયા છે.
આ બંને ઐતિહાસિક ઘટનાઓના સ્મરણાર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દેશ સોમનાથના શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના ઇતિહાસને યાદ રાખી શકે.
Somnath Swabhiman Parv:વડાપ્રધાન મોદી ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે સોમનાથ પધારશે. 11 જાન્યુઆરીના રોજ તેઓ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરશે. ત્યારબાદ મંદિર બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.
આ ઉપરાંત વડાપ્રધાન એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તેમજ વિશાળ જનસભાને સંબોધન કરીને દેશવાસીઓને સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપશે.
Somnath Swabhiman Parv:રાજ્યભરમાંથી 4 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા

શ્રદ્ધાળુઓની સુવિધા માટે 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને સરળ દર્શન માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાજકોટથી સોમનાથ જવા સ્પેશિયલ ટ્રેન સમયપત્રક (10 જાન્યુ. સુધી)
- સુરત–વેરાવળ ટ્રેન: રાત્રે 12.45 વાગ્યે રાજકોટ પહોંચશે, 12.55 વાગ્યે રવાના
- વડોદરા–વેરાવળ ટ્રેન: રાત્રે 1.45 વાગ્યે આવશે, 1.55 વાગ્યે ઉપડશે
- સાબરમતી–વેરાવળ ટ્રેન: રાત્રે 3.25 વાગ્યે આવશે, 3.35 વાગ્યે રવાના
- રાજકોટ–વેરાવળ ટ્રેન: રાત્રે 11.55 વાગ્યે રાજકોટથી રવાના
સોમનાથથી રાજકોટ આવવા સ્પેશિયલ ટ્રેનો (8થી 11 જાન્યુઆરી)
- વેરાવળ–સુરત ટ્રેન: રાત્રે 1.50 વાગ્યે રાજકોટ પહોંચશે, 2 વાગ્યે રવાના
- વેરાવળ–વડોદરા ટ્રેન: રાત્રે 2.10 વાગ્યે આવશે, 2.20 વાગ્યે ઉપડશે
- વેરાવળ–સાબરમતી ટ્રેન: રાત્રે 2.45 વાગ્યે આવશે, 2.55 વાગ્યે રવાના
- વેરાવળ–રાજકોટ ટ્રેન: સવારે 5 વાગ્યે રાજકોટ પહોંચશે




