Sakshi Khaniya Murder Case: કચ્છના ચકચારી ‘સાક્ષી ખાનીયા હત્યા કેસ’માં ભુજ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોલેજ કન્યાની નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરા અને તેને મદદ કરનાર તેના મિત્ર જયેશ ઠાકોરને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.
Sakshi Khaniya Murder Case: શું હતી સમગ્ર ઘટના?

ગાંધીધામના ભારતનગરની રહેવાસી ૧૯ વર્ષીય સાક્ષી ખાનીયા ભુજની સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જ્યારે સાક્ષી શિક્ષણકાર્ય પૂરું કરીને કોલેજ ગેટ બહાર નીકળી રહી હતી, ત્યારે અગાઉથી ટાપીને બેઠેલા મોહિતે તેના ગળા પર છરી ફેરવી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ સાક્ષીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Sakshi Khaniya Murder Case: તપાસમાં થયેલા ખુલાસા:
- એકતરફી પ્રેમ: આરોપી મોહિત સાક્ષીના પડોશમાં જ રહેતો હતો અને તેના પર એકતરફી પ્રેમમાં દબાણ કરતો હતો.
- ધમકીઓ અને હેરાનગતિ: સાક્ષી ભુજ ભણવા આવી છતાં મોહિત તેને વારંવાર ફોન કરી ગાંધીધામ આવવા દબાણ કરતો અને માતા-પિતાને જાણ કરવાની ધમકી આપતો હતો.
- પૂર્વ આયોજિત કાવતરું: હત્યાના દિવસે મોહિત તેના મિત્ર જયેશ ઠાકોર સાથે અંજારથી છરી ખરીદીને કોલેજ પહોંચ્યો હતો.
Sakshi Khaniya Murder Case: કોર્ટનો કડક ચુકાદો:
ભુજ પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓ અને ૩૧ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે: ૧. મુખ્ય આરોપી મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા અને મદદગાર જયેશ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. ૨. બંને આરોપીઓને ૨૫,૨૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ ચુકાદાથી મૃતક સાક્ષીના પરિવારને ન્યાય મળ્યો છે અને સમાજમાં ગુનેગારો વચ્ચે કડક સંદેશ ગયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સેન્સેક્સમાં 700 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24,200ની નીચે સરક્યો, રોકાણકારોમાં ફફડાટ




