SAKAT CHAUTH : દુંદાળા દેવ માટે આ વસ્તુઓનું દાન કરો અને શિવલિંગની પણ કરો પૂજા.બાળકોની સુખાકારીની કામના માટે કરો પૂજા.
સોમવાર, 29 જાન્યુઆરીએ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. જેને તલ ચોથ (ચતુર્થી) પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ માટે વ્રત કરવા સાથે તલ અને ગોળનું દાન કરવાની પરંપરા છે. બાળકોના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે આ વ્રત કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન ગણેશને તલના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ સાથે તલ અને ગોળનું પણ સેવન કરવું જોઈએ. તલ ચતુર્થીના વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો જાણી લો..
સોમવાર અને તલ ચતુર્થીના ખાસ દિવસે ભગવાન ગણેશની સાથે ભગવાન શિવ અને ચંદ્રની વિશેષ પૂજા કરવી જોઈએ. ચતુર્થી તિથિના સ્વામી ગણેશજી છે. સોમવારનો સ્વામી ભગવાન શિવ છે અને આનો કારક ગ્રહ ચંદ્ર છે. આ કારણે 29 જાન્યુઆરીએ આ ત્રણેય દેવતાઓની પૂજા કરવી શુભ ફળદાયી હશે.સોમવારે રાત્રે લગભગ 8:40 કલાકે ચંદ્રોદય થયા બાદ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને સંકષ્ટી ચોથનું વ્રત પૂર્ણ થશે.
SAKAT CHAUTH ના દિવસે બની રહ્યા છે બે શુભ યોગ
આ વખતે પોષ મહિનાની સંકષ્ટી ચતુર્થી સોમવારે છે. આ દિવસે ચંદ્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોવાને કારણે ધ્વજા નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે ગ્રહોની શુભ સ્થિતિના કારણે શોભન નામનો શુભ યોગ પણ બનશે. તેથી આ વ્રતનું મહત્ત્વ વધી ગયું છે.
સોમવારે ચંદ્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે જે શુક્રનું નક્ષત્ર છે. તે જ સમયે, સોમવારને ચંદ્રનો દિવસ માનવામાં આવે છે. આ કારણથી સંકષ્ટી ચોથ પર સોમવાર અને શુક્રના નક્ષત્રની હાજરી સૌભાગ્યમાં વૃદ્ધિનું પુણ્ય આપશે. આ દિવસે મહિલાઓ તેમના પરિવારની સુખ અને સમૃદ્ધિ તેમજ તેમના બાળકોની સુખાકારીની કામના કરે છે.
દિવસની શરૂઆત આ રીતે કરો
ચતુર્થીની સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો.
અર્ઘ્ય આપવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ
તાંબાના વાસણમાં પાણીની સાથે લાલ ફૂલ, ચોખા અને કુમકુમ પણ મુકવા જોઈએ.
સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
ત્યારબાદ ભગવાન ગણેશની પૂજા કરો
આ દિવસે વ્યક્તિએ આખો દિવસ પાણી વિના રહેવું જોઈએ,
જો આ શક્ય ન હોય તો પાણી પીને અને ખોરાક લીધા વિના ઉપવાસ કરો.
રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ અર્ઘ્ય ચઢાવી વ્રત પૂર્ણ કરવો જોઈએ
ગણેશ પૂજાની સરળ રીત
ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે પૂજા અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો. ગણેશ મૂર્તિને જળ અર્પણ કરો. પવિત્ર દોરો, હાર, ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ભગવાન ગણેશને દુર્વા અતિપ્રિય છે, એટલે દુર્વા ચઢાવો. ભોગ અર્પણ કરો. ધૂપ અને દીવા પ્રગટાવી આરતી કરો. પૂજાના અંતે કોઈ જાણી કે અજાણી ભૂલ માટે ક્ષમા માગો. પૂજા પછી પ્રસાદને અન્ય ભક્તોમાં વહેંચો અને જાતે જ લો. પૂજામાં ગણેશજીના મંત્રોનો જાપ કરો.ત્યારબાદ આ દિવસે સોમવાર હોવાથી ભગવાન શિવની પણ પૂજા કરો.
ભગવાન શિવની પૂજા કરી શકો છો
સૌથી પહેલા શિવલિંગ પર ગંગા જળ ચઢાવો અને ચંદનનો લેપ લગાવો. બિલ્વના પાન, હાર અને ફૂલોથી સજાવો. ભગવાનને પવિત્ર દોરો, અબીર અને ગુલાલ અર્પણ કરો. મીઠાઈઓ ચઢાવો, અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. યાદ રાખજો, ભગવાન શિવને ક્યારેય કુંકું ચઢાવવામાં આવતું નથી. એટલે પૂજામાં આનો ઉપયોગ ન કરો
શિવલિંગના રૂપમાં ચંદ્ર ગ્રહની પણ પૂજા કરવામાં આવે છે. તેથી શિવલિંગને દૂધ ચઢાવો. દૂધમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો અને પૂજા કરો. પૂજા દરમિયાન ઓમ પુત્ર સોમાય નમઃ મંત્રનો જાપ કરો.