કોંગ્રેસમાં ભરતી મેળો : જાણો કઇ રીતે શક્તિ સિંહ આપી રહ્યા છે, આપ અને ભાજપને કરંટ !

0
244
ભરતી મેળો
ભરતી મેળો

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો છે. બે દિવસમાં આપના ઘણા અગ્રણી નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ સિલસિલો આગળ પણ યથાવત રહે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ માં ભરતી મેળો ચાલી રહ્યો છે. બે દિવસમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. જેના કારણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ચહેલ પહેલ વધી છે.

શનિવારે ખેડા, અમદાવાદ અને જેતપુરના આપના 20 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. તેના બીજા જ દિવસે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો, કેમ કે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી આપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ ઉપરાંત ફતેપુરા બેઠકથી AAPના ઉમેદવાર રહેલા ગોવિંદ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો.

ભેમાભાઈ ચૌધરીનું રાજીનામું આમ આદમી પાર્ટી માટે મોટું નુકસાન છે. 2012થી આપ સાથે સંકળાયેલા ભેમાભાઈ ઉત્તર ગુજરાતમાં આપનો ચહેરો હતા. તેમણે વિધાનસભાં સહિતની ચૂંટણીઓમાં સક્રિય ભુમિકા ભજવી હતી. જો કે લોકસભાની ચૂંટણી પહેલાં જ તેમણે આપને ઝટકો આપ્યો છે. તેમણે આપના નેતૃત્વ પર નિષ્ક્રિય રહેવાનો આક્ષેપ કર્યો છે. 

શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસમાં સક્રિયતા વધી છે. એક રીતે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે. શક્તિસિંહ આ ભરતીને જનતા માટેનો સેવાયજ્ઞ ગણાવે છે. રવિવારે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મતિથી પણ હતી, ત્યારે શક્તિસિંહે દેશ માટે તેમના યોગદાનને યાદ કરતાં ભાજપ પર નિશાન પણ સાધ્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાના સંગઠનમાં જોમ ભરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી જ શરૂ કરવાના છે, ત્યારે કોંગ્રેસમાં સક્રિયતા જોઈ શકાય છે, આ સક્રિયતા કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કેટલી ફળે છે, તે જોવું રહેશે.