Ration Card: રાજ્યના રેશન કાર્ડધારકો માટે મોટી ખુશખબર સામે આવી છે. હવે અનાજ લેવા માટે બાયોમેટ્રિક (અંગૂઠાના નિશાન)ની ઝંઝટમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા નવી લેટેસ્ટ ટેકનોલોજી અપનાવીને અનાજ વિતરણ પ્રણાલીને વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. હવે માત્ર QR કોડ સ્કેન કરતા જ ખાંડ, મીઠું અને અનાજ મળી જશે.

Ration Card: અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટનો આરંભ
રાજ્ય અન્ન પુરવઠા વિભાગ દ્વારા અમદાવાદ શહેરના સાબરમતી ઝોનમાં ‘ડિજિટલ ફૂડ કરન્સી’ નામના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેશન કાર્ડધારકના મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ તૈયાર કરવામાં આવ્યું છે.
દર મહિનાની પહેલી તારીખે લાભાર્થીના ડિજિટલ વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન જમા થશે. ત્યારબાદ લાભાર્થીએ સસ્તા અનાજની દુકાને જઈ માત્ર દુકાનદારનો QR કોડ સ્કેન કરવાનો રહેશે. કૂપન રિડીમ થતાં જ અનાજ અને અન્ય ચીજવસ્તુઓ મળી જશે.
Ration Card :બાયોમેટ્રિક સમસ્યાથી મળશે મુક્તિ

અગાઉ ઘણી વખત સર્વર ડાઉન થવાના કારણે બાયોમેટ્રિક પ્રક્રિયામાં સમસ્યા સર્જાતી હતી. તેના કારણે રેશન કાર્ડધારકોને લાંબી રાહ જોવી પડતી હતી અને અનાજ મેળવવામાં વિલંબ થતો હતો. હવે QR કોડ આધારિત પદ્ધતિથી આ તમામ મુશ્કેલીઓ દૂર થશે અને લોકોના સમયની બચત થશે.
Ration Card: જથ્થાની માહિતી મળશે મોબાઈલમાં
આ નવી વ્યવસ્થાનો એક મહત્વનો ફાયદો એ છે કે લાભાર્થી પોતાના મોબાઈલ ફોનમાં અગાઉથી જ જોઈ શકશે કે ખાંડ, અનાજ સહિત કઈ-કઈ ચીજવસ્તુઓનો લાભ મળવાનો છે. QR કોડ સ્કેન થયા બાદ દુકાન પરથી મેળવેલી તમામ ચીજવસ્તુઓની રસીદ પણ રિયલ ટાઈમમાં મોબાઈલ પર મળશે.
લાભાર્થી એ વાત પણ જાણી શકશે કે રાજ્ય સરકાર દરેક રેશન કાર્ડધારક પાછળ કેટલો ખર્ચ કરી રહી છે. સાથે સાથે દુકાનદારને પણ જથ્થાની વિગતો રિયલ ટાઈમમાં અપડેટ મળશે.
રાજ્યભરમાં થશે અમલ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 25 રેશન કાર્ડધારકો પર આ પદ્ધતિનું રિયલ ટાઈમ આધારિત પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે સફળ રહ્યું છે. હવે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ લેટેસ્ટ અનાજ વિતરણ પદ્ધતિ અમલમાં મૂકવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :India and Venezuela News: અમેરિકા-વેનેઝુએલા સંઘર્ષથી ભારતની ઓઇલ આયાત પર મોટો પ્રભાવ




