Rajkot Finance Scam: રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી સુરત આવીને વસેલા ધનંજય ફાયનાન્સના માલિક ઘનશ્યામ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભરની સુરત પોલીસે ધરપકડ કરી છે. કાયદાની આંખમાં ધૂળ નાખી, પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટું સોગંદનામું કરી નવો પાસપોર્ટ કઢાવી વિદેશ જઈ આવનાર આ દંપતીનો ભાંડો આખરે ફૂટી ગયો છે.
Rajkot Finance Scam: શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2021માં રાજકોટમાં ‘ધનંજય ફાયનાન્સ’ના નામે રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી જવાનો ગુનો આ દંપતી સામે નોંધાયો હતો. આ કેસમાં હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા, જેમાં મુખ્ય શરત એ હતી કે તેઓએ પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને કોર્ટની મંજૂરી વગર ભારત છોડવું નહીં.
Rajkot Finance Scam: કાયદાને છેતરવા ઘડાયું કાવતરું
પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં વિદેશ જવાની લાલસામાં આ દંપતીએ એક મોટું કાવતરું ઘડ્યું:
- ખોટી અરજી: સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની ખોટી ફરિયાદ કરી.
- ખોટું સોગંદનામું: અસલી પાસપોર્ટ કોર્ટમાં હોવા છતાં, તે ગુમ થયા છે તેવું ખોટું સોગંદનામું રજૂ કર્યું.
- નવો પાસપોર્ટ: પોલીસના પ્રમાણપત્રના આધારે સુરત પાસપોર્ટ કચેરીમાંથી નવો પાસપોર્ટ મેળવી લીધો અને દુબઈનો પ્રવાસ પણ કરી આવ્યા.
Rajkot Finance Scam: સાક્ષીની સતર્કતાએ ખોલ્યો પર્દાફાશ

રાજકોટના એક જાગૃત સાક્ષીને બાતમી મળી હતી કે પાંભર દંપતી વિદેશ જઈ આવ્યું છે. આ માહિતીના આધારે તપાસ થતા સામે આવ્યું કે જેલ અને કોર્ટની કાર્યવાહીથી બચવા માટે આ દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનના ખોટા રિપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તપાસ બાદ 22 એપ્રિલ 2026ના રોજ તેમની સામે ગુનો નોંધાયો છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસના જણાવ્યા અનુસાર, ઘનશ્યામ પાંભર સામે અગાઉ રાજકોટ અને સુરતમાં લેન્ડ ગ્રેબિંગ અને છેતરપિંડી સહિતના 5થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પ્રોપર્ટી ડીલર તરીકે ઓળખ છુપાવીને રહેતા હતા.
“હાલમાં બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં ACP નિરવ ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આપને મોટો ફટકો , રાઘવ ચઢ્ઢા સહીત ૭ રાજ્યસભા સાંસદે આપ્યા પાર્ટી માંથી રાજીનામાં , ભાજપમાં જોડાશે




