Prayagraj Aircraft Crash : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં અચાનક વિમાન ખાબકતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જો કે, સમયસર સ્થાનિક લોકોની સમજદારી અને હિંમતના કારણે વિમાનમાં સવાર બંને પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
Prayagraj Aircraft Crash : હવામાં સંતુલન બગડતાં તળાવમાં પડ્યું વિમાન

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાન સામાન્ય રીતે ઉડી રહ્યું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે સીધું જ તળાવમાં પડી ગયું. વિમાન પડતાની સાથે જ જોરદાર ધડાકો થયો, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરાતફરી સર્જાઈ હતી. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
Prayagraj Aircraft Crash : સ્થાનિકોએ તળાવમાં કૂદી બચાવ કાર્ય શરૂ કર્યું
વિમાન ક્રેશ થતાં જ આસપાસના સ્થાનિક લોકો કોઈ વિલંબ કર્યા વગર તળાવ તરફ દોડી ગયા હતા. કેટલાક યુવાનો તળાવમાં કૂદી પડ્યા અને વિમાનમાં ફસાયેલા બંને પાયલોટને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
બંને પાયલોટ સુરક્ષિત, સારવાર હેઠળ
બચાવ બાદ બંને પાયલોટને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંનેની હાલત સ્થિર છે અને કોઈ ગંભીર ઈજા નથી. વાયુસેના દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વિમાન ક્રેશનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કમિટી રચવામાં આવી છે.

ઘટનાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિક લોકોની બહાદુરી અને માનવતા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. લોકો સ્થાનિકોની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.




