Panic at Fuel Pumps: રાજ્યમાં છેલ્લા કેટલાક કલાકોથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે સાંજ પડતા જ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Panic at Fuel Pumps: મુખ્ય અંશો:


- અફવાનું જોર: સવારના સમયે કેટલાક પંપ બંધ હોવાથી અછતની અફવા ફેલાઈ હતી.
- શહેરોની સ્થિતિ: સુરતના વરાછા અને હીરાબાગ વિસ્તારમાં રત્નકલાકારોની મોટી ભીડ જામી.
- સરકારની ખાતરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વહીવટી તંત્રએ લોકોને ગભરાવાની મનાઈ કરી છે.
- કડક કાર્યવાહી: સ્ટોક હોવા છતાં પેટ્રોલ ન આપનાર ડીલરો સામે પગલાં લેવાની ચીમકી.
Panic at Fuel Pumps: લોકોમાં કેમ ફેલાયો ફફડાટ?
અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે અમુક પેટ્રોલ પંપો પર ‘સ્ટોક નથી’ તેવા બોર્ડ જોવા મળતા લોકોમાં ડર પેઠો હતો કે આગામી દિવસોમાં ઈંધણ મળતું બંધ થઈ જશે. આ ડરને કારણે લોકો કામધંધો છોડીને પંપો પર લાઈનમાં ઊભા રહી ગયા હતા. સુરતમાં ખાસ કરીને હીરાના કારખાનાઓ છૂટતા જ રત્નકલાકારોએ પંપો પર રીતસરનો ધસારો કર્યો હતો, જેને કાબૂમાં લેવો સંચાલકો માટે મુશ્કેલ બન્યો હતો.
Panic at Fuel Pumps: સરકાર અને તંત્રનું શું કહેવું છે?
પરિસ્થિતિની ગંભીરતા જોતા રાજ્ય સરકાર ત્વરિત એક્શનમાં આવી છે:
- હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી): તેમણે લોકોને અપીલ કરી છે કે, “રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ અફવામાં દોરાઈને પંપ પર ભીડ કરવાની જરૂર નથી.”
- મોના ખંધાર (અધિક મુખ્ય સચિવ): તેમણે સ્પષ્ટ કર્યું કે પુરવઠા નિગમ દ્વારા તમામ પંપો પર નિયમિત સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી છે.
- IOCL નોડલ ઓફિસર: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારી સંજય મહેરાએ જણાવ્યું કે સપ્લાય ચેઈન સુરક્ષિત છે. જો કોઈ ડીલર પાસે સ્ટોક હોવા છતાં તે વેચાણ નહીં કરે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
એસોસિએશનની અપીલ
અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ વાહનચાલકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે. તેમણે ખાતરી આપી છે કે તમામ ડીલરોને તેમની જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહ્યો છે અને કોઈએ ‘પેનિક બાયિંગ’ (ડરના માર્યા ખરીદી) કરવાની જરૂર નથી.




