Nirmala Sitharaman: કેન્દ્રીય બજેટ 2026-27ની રજૂઆત પહેલાં આજે દેશની આર્થિક સ્થિતિનો ચિતાર આપતો ‘ઈકોનોમિક સર્વે’ (આર્થિક સર્વેક્ષણ) સંસદમાં રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 29 જાન્યુઆરીએ આ સર્વે રજૂ કરશે, જેમાં દેશના જીડીપી (GDP) ગ્રોથ, મોંઘવારી અને અર્થતંત્રના આગામી પડકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
Nirmala Sitharaman:શું છે ઈકોનોમિક સર્વે અને કેમ છે મહત્વનો?
ઈકોનોમિક સર્વે એ દેશની અર્થવ્યવસ્થાનું વાર્ષિક ‘રિપોર્ટ કાર્ડ’ છે. તેમાં વિતેલા એક વર્ષમાં દેશે આર્થિક રીતે કેવું પ્રદર્શન કર્યું અને આવનારા વર્ષ માટે કેવા લક્ષ્યાંકો રાખવા જોઈએ તેની બ્લૂપ્રિન્ટ હોય છે.
- કોણ તૈયાર કરે છે? ચીફ ઈકોનોમિક એડવાઈઝર (CEA) ડો. વી. અનંત નાગેશ્વરનના નેતૃત્વમાં નાણા મંત્રાલય દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
- શું વિગતો હોય છે? આમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર અને વિદેશી મુદ્રા ભંડાર સહિતના તમામ પાસાઓનો ડેટા હોય છે.
- વિકસિત ભારત માટે 8% ગ્રોથ રેટ જરૂરી

ગયા વર્ષના સર્વેમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો કે જો ભારતને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવું હોય, તો આગામી બે દાયકા સુધી સતત 8% ના દરે આર્થિક વિકાસ કરવો અનિવાર્ય છે. આજના સર્વેમાં સરકાર આગામી નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથનો શું અંદાજ મૂકે છે તેના પર સૌની નજર રહેશે.
Nirmala Sitharaman:ઈતિહાસ અને પરંપરા
- પ્રથમ સર્વે: દેશનો પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ થયો હતો.
- બજેટથી અલગ: 1964 સુધી તે બજેટનો જ ભાગ હતો, પરંતુ ત્યારબાદ તેને બજેટના એક દિવસ પહેલા અલગથી રજૂ કરવાની પરંપરા શરૂ થઈ.
- બંધનકર્તા નથી: સરકાર આ સર્વેમાં આપવામાં આવેલા સૂચનો માનવા માટે કાયદેસર રીતે બંધાયેલી નથી, પરંતુ બજેટની રૂપરેખા મોટે ભાગે આના પર જ આધારિત હોય છે.
આવતીકાલે નહીં, પણ 1 ફેબ્રુઆરીએ બજેટ: આજે આર્થિક સર્વે રજૂ થયા બાદ, હવે આખા દેશની નજર 1 ફેબ્રુઆરી પર છે, જ્યારે નાણામંત્રી મોદી સરકારનું નવું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સામાન્ય જનતાને આશા છે કે બજેટમાં ટેક્સમાં રાહત અને મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કડક પગલાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો :Aadhaar App:નવી આધાર એપ લોન્ચ: QR કોડથી ઓળખ, 50થી વધુ નવા ફીચર્સ




