Maruti Suzuki: ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું ઉમેરાયું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગાંધીનગરના ખોરજ ખાતે રૂ. 35,000 કરોડના માતબર રોકાણ સાથે વિશ્વકક્ષાનો નવો વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે આજે 17 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડઓવર સેરેમની યોજાઈ હતી.
Maruti Suzuki: દર વર્ષે 10 લાખ કારનું ઉત્પાદન

ખોરજ ખાતે બનનારા આ પ્લાન્ટમાં દર વર્ષે કુલ 10 લાખ કાર ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે. આ માટે ચાર અલગ-अलग પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જેમાં દરેક પ્લાન્ટની ક્ષમતા 2.5 લાખ કાર પ્રતિ વર્ષ રહેશે. મારુતિ સુઝુકીનું આયોજન છે કે પ્રથમ પ્લાન્ટનું ઉત્પાદન 2029ના નાણાકીય વર્ષથી શરૂ થશે.
Maruti Suzuki: 12 હજારને સીધી રોજગારી, લાખો પરોક્ષ અવસરો
આ મેગા પ્રોજેક્ટથી 12,000થી વધુ લોકોને સીધી રોજગારી મળશે. સાથે સાથે એન્સિલીયરી યુનિટ્સ અને MSME એકમોના વિકાસથી અંદાજે 7.5 લાખ પરોક્ષ રોજગારીના અવસરોનું સર્જન થશે. આથી ગુજરાતનો ઓટોમોબાઈલ સેક્ટર વધુ મજબૂત બનશે.
Maruti Suzuki: હાંસલપુર બાદ ખોરજમાં બીજો પ્લાન્ટ
હાંસલપુરમાં આવેલા પ્લાન્ટથી માત્ર 66 કિલોમીટરના અંતરે ખોરજમાં બીજો પ્લાન્ટ સ્થાપિત થવાનો છે. આશરે 1750 એકર જમીન પર બનનારો આ પ્લાન્ટ ગુજરાતને દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત બનાવશે.
Maruti Suzuki: રાજ્ય સરકાર અને મારુતિ સુઝુકી વચ્ચે રોકાણ કરાર

ગાંધીનગરમાં યોજાયેલી સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કંપની વચ્ચે રોકાણ સંબંધિત કરારો કરવામાં આવ્યા હતા. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને કંપનીના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારત-ગુજરાત-જાપાનના ઉદ્યોગ સંબંધોને મજબૂતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર એક નવો પ્લાન્ટ નહીં પરંતુ ભારત-ગુજરાત-જાપાન વચ્ચેના મજબૂત ઉદ્યોગ સંબંધોનું પ્રતીક છે. રાજ્ય સરકાર ઉદ્યોગોને દરેક સ્તરે સહયોગ આપતી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
ઓટોમોબાઈલ સેક્ટરમાં નવી ક્રાંતિ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી દ્વારા કરવામાં આવેલું આ રોકાણ ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે.




