Historic Celebration in Vadodara:મહંત સ્વામી જન્મજયંતી મહોત્સવમાં બે લાખ હરિભક્તોની અલૌકિક આરતી, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

0
139
Celebration

Historic Celebration in Vadodara:વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી નિમિત્તે આજે ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી બે લાખથી વધુ હરિભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં 14 દેશોમાંથી આવેલા અંદાજે 13 હજાર NRI હરિભક્તોએ પણ ભાગ લીધો હતો.

આ પ્રસંગે પ્રથમ વખત મહંત સ્વામી મહારાજને બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વભરમાં 1200થી વધુ હિન્દુ મંદિરોના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજના યોગદાન બદલ, તેમની પરંપરાને આગળ ધપાવતા મહંત સ્વામી મહારાજનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

Historic Celebration in Vadodara

Historic Celebration in Vadodara:બે લાખ હરિભક્તોની એકસાથે મહા આરતી

મહોત્સવ દરમિયાન બે લાખ હરિભક્તોએ એકસાથે મહા આરતી ઉતારી અલૌકિક અને અવિસ્મરણીય દ્રશ્યો સર્જ્યા હતા. આ ધાર્મિક ઉત્સવને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં વડોદરા NH-48 પર લગભગ 2 કિલોમીટર સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

Historic Celebration in Vadodara:બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

Historic Celebration in Vadodara

મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થાના 3 થી 13 વર્ષની વયના 15,666 બાળકોએ માત્ર એક વર્ષમાં ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ કર્યો હતો. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તેના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આટલા મોટા પ્રમાણમાં બાળકો દ્વારા મુખપાઠ અને સમૂહગાન થવું એક ઐતિહાસિક અને વિરલ ઘટના છે, જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે.

મુખ્યમંત્રીઓની હાજરી, સંત-શાસ્ત્ર-મંદિર પર ભાર

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંત, શાસ્ત્ર અને મંદિર આ ત્રણ આધારસ્તંભો દ્વારા સનાતન સંસ્કૃતિ સદીઓથી અડગ રહી છે. તેમણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ‘અહમશૂન્ય’ જીવનદર્શનને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી.

મધ્યપ્રદેશનો રેકોર્ડ તૂટ્યો, આનંદની લાગણી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુરુ પરંપરાની મહત્તા સમજાવતા કહ્યું હતું કે, અગાઉ મધ્યપ્રદેશમાં ગીતા પાઠના આધારે ગિનિસ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજે તે રેકોર્ડ તૂટ્યો તેનો તેમને વિશેષ આનંદ છે. તેમણે ઉમેર્યું કે, બાળકો અને યુવાનોમાં સંસ્કારના બીજ વાવવાનું કાર્ય મહંત સ્વામી મહારાજની સાધનાનું ઉત્તમ પરિણામ છે.

જેઠાલાલની હાજરીથી બાળકોમાં ઉત્સાહ

Historic Celebration in Vadodara

આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી પણ હાજર રહ્યા હતા. દિલીપ જોશીએ બાળકો સાથે સંવાદ કરી દરેક શ્લોકની સરળ સમજ આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા, જેને કારણે સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સંસ્કૃતિ, સંસ્કાર અને સેવાભાવનું અનોખું સંગમ

કાર્યક્રમ દરમિયાન નૃત્યનાટિકાઓ, મંત્રગાન, ધાર્મિક પાઠ અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાઠવાયેલ શુભેચ્છા સંદેશનું પણ વાચન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Congo Landslide:કોંગોમાં ભૂસ્ખલનથી 200થી વધુ શ્રમિકોના મોત, વિશ્વભરના સ્માર્ટફોન–લેપટોપ ઉદ્યોગ પર સંકટની ચિંતા