Harij Chansma Highway Accident:પાટણ જિલ્લાના હારીજ–ચાણસ્મા હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ITI કોલેજ નજીક એક્ટિવા ચાલકને બચાવવાનો પ્રયાસ કરતા લકઝરી બસ પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. તમામ ઈજાગ્રસ્તોને પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Harij Chansma Highway Accident:એક્ટિવા ચાલક આડો ઉતરતા સર્જાયો અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, હારીજ–ચાણસ્મા હાઇવે પર એક એક્ટિવા ચાલક અચાનક રોડ પર આડો ઉતર્યો હતો. તેને બચાવવા માટે લકઝરી બસના ડ્રાઇવરે અચાનક બ્રેક અને સ્ટેરિંગ ફેરવ્યું હતું. આ દરમિયાન ડ્રાઇવરનો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ રોડની સાઈડમાં ઉતરી પલટી મારી ગઈ હતી.
Harij Chansma Highway Accident:પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના વડીલો હતા બસમાં
અકસ્માત સમયે બસમાં પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના વડીલો સવાર હતા. તેઓ વંદના કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. બસમાં મોટા ભાગે વૃદ્ધ મુસાફરો હોવાથી ઈજાઓની ગંભીરતા વધુ જોવા મળી હતી.
Harij Chansma Highway Accident:બસમાં ચીસાચીસ, રાહદારીઓ દોડી આવ્યા
અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી ખાતાં જ અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસની અંદરથી મદદ માટે બૂમરાડ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટના જોઈને આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી બસમાંથી મુસાફરોને બહાર કાઢી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
હોસ્પિટલમાં સગા-સંબંધીઓની ભીડ
અકસ્માતની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. હોસ્પિટલ બહાર શોક અને ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસ શરૂ
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. બસના ડ્રાઇવર, એક્ટિવા ચાલક અને અકસ્માતના કારણોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
માર્ગ સલામતી અંગે ફરી પ્રશ્નો
આ અકસ્માતે ફરી એકવાર હાઇવે પર માર્ગ સલામતી અને અચાનક રોડ ક્રોસ કરવાના જોખમોને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રશાસન દ્વારા વાહનચાલકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.




