Controversy in Kashi: ધર્મનગરી કાશીમાં આસ્થાનું કેન્દ્ર મનાતી પવિત્ર ગંગા નદીની મધ્યમાં બોટ પર ઇફ્તાર પાર્ટી યોજવાનો મામલો ગરમાયો છે. ગંગાજીમાં નૌકાવિહાર દરમિયાન માંસાહારી ભોજન (ચિકન બિરયાની) આરોગવા અને તેના અવશેષો પવિત્ર નદીમાં ફેંકવાનો વીડિયો વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ મામલે ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસે 8 કલાકમાં જ 14 લોકોની ધરપકડ કરી છે.
Controversy in Kashi: શું છે સમગ્ર મામલો?

સોમવારે સાંજે અસ્સી ઘાટથી નમો ઘાટ સુધી એક મોટી બોટ બુક કરવામાં આવી હતી. આ બોટ પર કેટલાક યુવકોએ ઇફ્તારનું આયોજન કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે રોઝાદારોએ પહેલા બોટ પર નમાઝ અદા કરી અને ત્યારબાદ ખજૂર-ફળોથી રોઝા ખોલ્યા હતા. જોકે, વિવાદ ત્યારે સર્જાયો જ્યારે અન્ય એક વીડિયોમાં આ લોકો મોટા તપેલામાંથી ચિકન બિરયાની કાઢીને ખાતા અને તેના હાડકાં ગંગા નદીમાં ફેંકતા નજરે પડ્યા હતા.
Controversy in Kashi: હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
આ વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસરતા જ ભાજપ અને હિન્દુવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના મહાનગર અધ્યક્ષ રજત જયસ્વાલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે:
“મા ગંગા સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં આચમન કરવા આવે છે. પવિત્ર નદીમાં માંસાહાર કરવો અને તેના અવશેષો પધરાવવા એ સનાતન અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય છે.”
પોલીસની ત્વરિત કાર્યવાહી

ફરિયાદ મળતા જ વારાણસી પોલીસે તપાસ તેજ કરી હતી. વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ જે નાવિકની બોટમાં આ કાર્યક્રમ યોજાયો હતો, તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા અને તેનું લાઇસન્સ રદ કરવા તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવી છે.
તણાવભરી સ્થિતિ
કાશીના ઘાટ પર આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક લોકો અને તીર્થપુરોહિતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. પોલીસે આ મામલે શાંતિ જાળવવા અપીલ કરી છે અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ ન મૂકવા સૂચના આપી છે.
આ પણ વાંચો :10 રાજ્યોની 37 બેઠકોના પરિણામ જાહેર, NDAનો દબદબો; બિહાર-હરિયાણામાં પલટાયા સમીકરણો




