અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે.
આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ-મેમો આવશે. સાથે જ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.