Brake Failure Suspected: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર નજીકથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાણંદના ઇયાવા ગામથી શ્રદ્ધાળુઓને લઈને ગળતેશ્વર દર્શનાર્થે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસે અચાનક કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર ૫૫ થી વધુ મહિલાઓ અને નાના બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જેને પગલે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી.
Brake Failure Suspected: સેવાલીયા રોડ પર લહેરીપૂરા નજીક સર્જાયો અકસ્માત

મળતી વિગતો મુજબ, આ દુર્ઘટના ગળતેશ્વર-સેવાલીયા રોડ ઉપર આવેલા લહેરીપૂરા ગામ નજીક સર્જાઈ હતી. બસ જ્યારે લહેરીપૂરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવેલા તારણ મુજબ, બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત નડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Brake Failure Suspected: અંબાવમાં ટ્રાફિક જામના કારણે મોટી જાનહાનિ ટળી

મોટી આફત ટળી: સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પહેલા અંબાવ ગામ નજીક મોટો ટ્રાફિક જામ હતો. તે ટ્રાફિક જામમાંથી બસ માંડ-માંડ ધીમી ગતિએ નીકળી હતી અને ત્યારબાદ થોડે આગળ જતા જ આ ઘટના બની હતી. જો બસ ફુલ સ્પીડમાં હોત તો કદાચ પલટી મારતા મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સદનસીબે મોટી ઘાત ટળી ગઈ છે.
Brake Failure Suspected: સ્થાનિક લોકો અને પોલીસ દેવદૂત બન્યા: રાહત અને બચાવ કામગીરી

અકસ્માત થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક વાહનચાલકો તાત્કાલિક બસ તરફ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસની ટીમ પણ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસે સંયુક્ત રીતે બસની બારીઓ અને દરવાજામાંથી ઇજાગ્રસ્ત મહિલાઓ તેમજ રડતા બાળકોને હેમખેમ બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
Brake Failure Suspected: સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ, ૨ ની હાલત નાજુક

તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિકોના ખાનગી વાહનો મારફતે તાત્કાલિક સેવાલીયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો અને સ્ટાફે પણ તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દીધી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્તો પૈકી બેથી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમની હાલત અત્યારે નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સેવાલીયા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સાળંગપુર મંદિર ટ્રેડમાર્ક વિવાદ પાલનપુરમાં બ્રહ્મ સમાજની મહત્ત્વની બેઠક, ‘ભગવાનના નામે ટ્રેડમાર્ક ન હોવો જોઈએ’ નો ઠરાવ કરાશે




