ભાજપનો દાવો- INDIAના સંયોજક ન બનાવતા શુ નીતિશ કુમાર નારાજ થયા ? બેંગ્લુરુમાં પીસીથી ગાયબ રહ્યા

0
93
નીતિશ કુમાર
નીતિશ કુમાર

ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નારાજ થઈને બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીની બેઠકમાંથી વહેલા પરત ફર્યા હતા. સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, નીતિશ કુમારને નવા ગઠબંધન I.N.D.I.A.ના સંયોજક બનાવવામાં આવ્યા નથી. આથી તેઓ નારાજ છે અને વિપક્ષની બેઠકમાંથી વહેલા પરત ફર્યા છે. નીતિશ કુમાર કેમ વહેલા જતા રહ્યા તેને લઇને હાલ અટકળો  તેજ છે,

હકીકતમાં, વિપક્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ક્રમમાં, 17-18 જુલાઈના રોજ, કોંગ્રેસે બેંગલુરુમાં વિરોધ પક્ષોની એક મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 26 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. એટલું જ નહીં, બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રચાઈ રહેલા આ ગઠબંધનનું નામ I.N.D.I.A એટલે કે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સ રાખવામાં આવ્યું હતું.

નીતિશ કુમાર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા ન હતા
બેંગલુરુમાં યોજાયેલી બેઠક બાદ વિરોધ પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપનો દાવો છે કે નીતિશે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી ન હતી. તે પહેલા જ મીટિંગ છોડીને પટના જવા રવાના થઈ ગયા હતા. એટલું જ નહીં, પ્રેસ કોન્ફરન્સમાં માત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીએ વાત કરી હતી. આવી સ્થિતિમાં ભાજપનો દાવો છે કે નીતીશ કુમાર નારાજ થઈને બેઠકમાંથી પરત ફર્યા હતા.

સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, નીતિશ અને લાલુ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધા વગર કેમ નીકળી ગયા. શું તેમને કન્વીનર ન બનાવવા બદલ નારાજ છે? તો, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ટ્વિટ કરીને કહ્યું, સાંભળ્યું છે કે બિહારના મહાઠગબંધનના મોટા-મોટા ભૂપતિ બેંગલુરુથી પહેલા જ નીકળી આવ્યા. દુલ્હો નક્કી થયો નથી, ફૂફા પહેલેથી જ નારાજ થઈ રહ્યા છે.

બેંગલુરુમાં નીતિશ વિરુદ્ધ પોસ્ટર
વિપક્ષી દળોની બેઠક પહેલા બેંગલુરુમાં નીતિશ કુમાર વિરુદ્ધ પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં બિહારમાં પડેલા પુલનો ઉલ્લેખ કરીને નીતિશ કુમારને અસ્થિર વડાપ્રધાન પદના દાવેદાર ગણાવ્યા હતા. એટલે કે તેઓ પીએમના અસ્થિર દાવેદાર છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધ્યું
બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, મહાગઠબંધનના લોકોએ નીતીશ કુમારને બેંગલુરુમાં બોલાવીને તેમનું અપમાન કર્યું. કોંગ્રેસ શાસિત રાજ્યમાં નીતિશ કુમારને અસ્થિર કહ્યા અને તેમને ઘણું સહન કરવું પડ્યું. કોંગ્રેસીઓની એ યુક્તિ હતી કે નીતિશ તેમના ગઠબંધનમાં આવે, પરંતુ તેમની ભૂમિકા ન હતી. આ માટે નીતિશ કુમાર પોતે જ જવાબદાર છે.