Amdavad news: અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં આજે સાંજથી લઈને આવતીકાલ સુધી પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે.

Amdavad news: કોતરપુર પ્લાન્ટ 8 કલાક બંધ રહેશે
શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાળવણી અને સમારકામ માટે પ્લાન્ટને 8 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે (10 ફેબ્રુઆરી) સવારનો પાણીનો જથ્થો આપ્યા બાદ સિસ્ટમ બંધ કરવામાં આવી હોવાથી લાઈનોમાં પાણીનું દબાણ ઘટશે.
Amdavad news: આવતીકાલે સવારે ઓછા પ્રેશરથી આવશે પાણી
કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આજે સાંજે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સની કામગીરી ચાલવાની છે. આ શટડાઉનની સીધી અસર બુધવારે (11 ફેબ્રુઆરી) સવારના પાણી વિતરણ પર જોવા મળશે. આવતીકાલે સવારે શહેરના 15થી વધુ વિસ્તારોમાં પાણી અત્યંત ઓછા પ્રેશરથી અથવા ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે.

કયા વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર?
કોતરપુર પ્લાન્ટ સાથે જોડાયેલા શહેરના પૂર્વ અને પશ્ચિમ પટ્ટાના અનેક મુખ્ય વિસ્તારોમાં આ શટડાઉનની અસર જોવા મળશે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપલબ્ધ પાણીનો જથ્થો સાચવીને વાપરે જેથી મુશ્કેલી ન પડે.
ક્યારથી સ્થિતિ રાબેતા મુજબ થશે?
સમારકામ પૂર્ણ થયા બાદ બુધવાર સાંજથી અથવા ગુરુવાર સવારથી સમગ્ર શહેરમાં રાબેતા મુજબ અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવામાં આવશે.




