ગાંધીનગર ખાતે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક મંત્રી સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે. રાજ્યમાં 5E -એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી, એજ્યુકેશન એન્ડ અવેરનેસ તથા ઈફેક્ટિવ કો-ઓર્ડીનેશન થકી રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાત રોડ સેફટી ઓથોરીટી તથા સ્ટેક-હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI), માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગના દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૨ના કુલ અકસ્માતો પૈકી ૫૬ ટકા અકસ્માતોમાં વાહનને પાછળથી ટક્કર વાગવી, હિટ એન્ડ રન તથા સાઈડથી ટક્કર વાગવાનું પ્રમાણ વધારે છે. જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે વર્ષ ૨૦૨૨માં અકસ્માતનું પ્રમાણ ૩૨.૪૨ ટકા હતું. જ્યારે સીટ બેલ્ટ ન બાંધવાને કારણે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કુલ અકસ્માતો પૈકી ૧૮ ટકા અકસ્માતો વિવિધ જંક્શન પર નોંધાયા છે. કુલ અકસ્માતોના બનાવો પૈકી ૭૩ ટકાથી વધુ મોતનો ભોગ બનનારની વય ૧૮થી ૪૫ વર્ષની નોંધાઈ છે. જ્યારે મૃતકોની સંખ્યામાં ૬૭ ટકા જેટલા વ્યક્તિઓમાં મોટરબાઈકચાલકો, સાઈકલ સવાર તથા પદયાત્રીઓનો સમાવેશ થાય છે.
રાજ્યના સરખેજ-ગાંધીનગર હાઈવે, ભરૂચ-સુરત હાઈવે તથા અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર તમામ પ્રકારના પગલા લઈ માર્ગ સલામતીની દૃષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચના આપી હતી. તેમજ આવી જ રીતે રાજયના અન્ય તમામ માર્ગો પર માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. અકસ્માત પછીના તુરંત એક કલાક(ગોલ્ડન અવર)માં ઈજાગ્રસ્તને તબીબી સારવાર મળી રહે તો તેનો જીવ બચવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે