Surat Bus Accident: સુરતમાં બે દિવસ પહેલા સર્જાયેલા ગંભીર બસ અકસ્માતમાં ભોગ બનેલી 14 વર્ષની કિશોરી ખટીજા ફારુક શેખની તબિયત હજુ પણ અત્યંત નાજુક હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલમાં તે નવી સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ (ICU)માં સારવાર હેઠળ છે. અકસ્માતને 48 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી.
Surat Bus Accident: કિશોરી હજુ પણ બોલવાની સ્થિતિમાં નથી

પરિવારના જણાવ્યા અનુસાર, માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ખટીજા હજુ સુધી કોઈની સાથે વાતચીત કરી શકતી નથી. તે માત્ર વચ્ચે-વચ્ચે આંખો ખોલીને આસપાસ જુએ છે, પરંતુ કોઈ બાબતનો પ્રતિસાદ (Response) આપી શકતી નથી. તબીબોની ટીમ દ્વારા તેની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સઘન સારવાર આપવામાં આવી રહી છે. દીકરીની આવી હાલત જોઈને પરિવાર આઘાતમાં છે અને તેના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યો છે.
Surat Bus Accident: ફરાર બસ ચાલક સામે કડક પગલાં લેવા પરિવારની માંગ

બીજી તરફ, અકસ્માત સર્જીને માનવતા ભૂલી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા બસ ચાલક સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠાવતા માંગ કરી છે કે, નિર્દોષ દીકરીની જિંદગી જોખમમાં મૂકનાર લક્ઝરી બસના ડ્રાઈવરની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: હજીરા કાંઠાના પાંચ ગામના લોકોનો મોરચો, ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદે કબ્જાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ ધામા




