Fatal Crash Near Gondal: રીબડાના બહુચર્ચિત અને રાજકીય ગરમાવો લાવનારા અમિત ખૂંટ આપઘાત કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસની મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) અને બે મહિનાના જેલવાસ બાદ જામીન પર મુક્ત થયેલી ૨૫ વર્ષીય પૂજા રાજગોરનું ગોંડલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મિત્રો સાથે સાસણથી પ્રવાસ કરીને પરત ફરી રહેલી પૂજાની કાર રોડ સાઈડના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

Fatal Crash Near Gondal: પૂરપાટ ઝડપે જતી સ્કોડા કારના ફુરચા ઊડ્યા
મળતી માહિતી અનુસાર, મિત્રોનું એક જૂથ કાળા રંગની સ્કોડા કારમાં સાસણથી પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે આવેલા ‘દાવત બેવરેજીસ’ નજીક ચાલકે કારની પૂરપાટ ઝડપના કારણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડની બાજુમાં આવેલા એક ઘટાદાર વૃક્ષ સાથે એટલી જોરદાર રીતે અથડાઈ હતી કે વાહનના ફુરચા ઊડી ગયા હતા.
દુર્ઘટનામાં ૨૫ વર્ષીય પૂજા જુતેનભાઈ રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: ૧. લાલો સંજયભાઈ વધીયા (ઉ.વ. ૪૨) ૨. નિરાલીબેન મોહનભાઇ ગોહિલ (ઉ.વ. ૩૦) ૩. સંજયભાઈ રાજુભાઈ જાખેલીયા (ઉ.વ. ૩૨) ૪. ત્રીશાબેન મહેશભાઈ ડાઢીપા (ઉ.વ. ૫)
તમામ ઘાયલોને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે. એ. ખાચર કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Fatal Crash Near Gondal: મોત પહેલાંની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચામાં
અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂજા રાજગોર સોશિયલ મીડિયા પર સક્રિય હતી. આ જીવલેણ દુર્ઘટનાના માત્ર ૨૧ કલાક પહેલાં જ પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અજાણ્યા પુરુષ સાથેનો ‘કપલ ફોટો’ સ્ટોરીમાં શેર કર્યો હતો, જે હવે તેના મોત બાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Fatal Crash Near Gondal: શું હતો ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ?

આ સમગ્ર મામલાના મૂળિયા મોડેલિંગ ક્ષેત્રે જોડાયેલી એક હનીટ્રેપ અને કથિત કાવતરા સાથે જોડાયેલા છે:
- દુષ્કર્મની ફરિયાદ: ૩ મેના રોજ રાજકોટમાં મોડેલિંગ કરતી ૧૭ વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે કેફી પીણું પીવડાવી કારમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
- અમિત ખૂંટનો આપઘાત: આ ફરિયાદના બે જ દિવસ બાદ, ૫ મેના રોજ આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં લોધિકા રોડ પર પાણીના વોંકળામાં ઝાડ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના ભાઈ મનીષ ખૂંટે તેને લટકતી હાલતમાં જોયો હતો.
- રાજકીય ભૂકંપ અને સુસાઈડ નોટ: ઘટનાસ્થળેથી અમિતની સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, “મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો હતો અને પૈસા આપીને ખોટી ફરિયાદ કરાવી હતી.” ઉલ્લેખનીય છે કે અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો, જ્યારે સામે પક્ષે અનિરુદ્ધસિંહે આને જયરાજસિંહનું કાવતરું ગણાવ્યું હતું.

Fatal Crash Near Gondal: પૂજા રાજગોર કેવી રીતે બની માસ્ટરમાઈન્ડ?
અમિત ખૂંટના આપઘાત બાદ પોલીસે જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આખી ઘટના પાછળ એક મોટું કાવતરું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસના અંતે પૂજા રાજગોરને આ કેસની મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) ગણાવી હતી.
પોલીસે પૂજા રાજગોર ઉપરાંત બે વકીલો – સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ વકીલો અને પૂજાએ મળીને જ સગીરાને અમિત વિરુદ્ધ ખોટી કાયદાકીય પ્રક્રિયા (દુષ્કર્મની ખોટી ફરિયાદ) કરવાની ખાસ તાલીમ આપી હતી. આ ગુનામાં પૂજાને ૯ મેના રોજ જેલ હવાલે કરાઈ હતી અને ૨ મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ ૧૧ જુલાઈએ તે જામીન પર મુક્ત થઈ હતી. જામીન પર બહાર આવ્યા બાદ પ્રવાસેથી પાછા ફરતી વખતે જ કાળ તેનો કોળિયો કરી ગયો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




