Delhi Hotel Tragedy: દિલ્હીના માલવીય નગર સ્થિત ‘ફ્લોરિશ સ્ટે’ હોટલમાં ૩ જૂનની સવારે લાગેલી ભયાનક આગે ૨૧ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. આ કાળમુખી આગમાં જીવ ગુમાવનારાઓમાં એક એવા આફ્રિકન કપલની હૃદયદ્રાવક દાસ્તાન સામે આવી છે, જે સાંભળીને કોઈપણની આંખો ભીની થઈ જાય.
બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને હોટલના બાથરૂમમાંથી આ કપલના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુના અંતિમ સમયમાં પણ બંને એકબીજાને કડક રીતે ભેટેલા હતા. મહિલા ટોયલેટ સીટ પર બેઠી હતી અને તેનું માથું પતિના ખભા પર ટેકેલું હતું, જ્યારે પતિ પાસે રાખેલી ખુરશી પર બેઠો હતો. ગૂંગળામણને કારણે આ દંપતીએ તડપી-તડપીને દમ તોડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ કપલ નજીકની હોસ્પિટલમાં IVF ટ્રીટમેન્ટ (સંતાન પ્રાપ્તિ માટેની સારવાર) માટે દિલ્હી આવ્યું હતું.
Delhi Hotel Tragedy: ૨૧ મૃતકોમાં ૧૧ વિદેશી નાગરિકો, લાઇબેરિયન મહિલાની ઓળખ થઈ

આ ભીષણ અગ્નિકાંડમાં કુલ ૨૧ લોકોના મોત થયા છે અને ૨૮ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ૧૧ વિદેશી અને ૧૦ ભારતીય નાગરિકો સામેલ છે. વિદેશી નાગરિકોમાંથી ૯ લોકો આફ્રિકન દેશોના હતા. મૃતકોમાં સામેલ ૬૧ વર્ષીય લાઇબેરિયન મહિલા જેનજે એન. રોલેન્ડના મૃતદેહની ઓળખ તેમના સંબંધીએ AIIMS મોર્ચરીમાં કરી છે. આ મહિલાના બીમાર પતિ પહેલાથી જ મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
Delhi Hotel Tragedy: હોટલ માલિકનો શરમજનક ખુલાસો: ‘દિલ્હીમાં બધું ચાલે છે’

આ ઘટનાના મુખ્ય આરોપી અને હોટલના સહ-માલિક લવકેશ બજાજને પોલીસે કસ્ટડીમાં લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને ૪ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. પૂછપરછ દરમિયાન જ્યારે લવકેશ બજાજને પૂછવામાં આવ્યું કે, માત્ર ૬ રૂમનું લાયસન્સ હોવા છતાં ૨૫ રૂમ કેવી રીતે ચલાવવામાં આવતા હતા? અને ફાયર NOC (No Objection Certificate) પણ કેમ નહોતી? ત્યારે તેણે અત્યંત બિનજવાબદારીપૂર્વક જવાબ આપ્યો કે, “દિલ્હીમાં બધું ચાલે છે.”
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે:
- આ હોટલ ત્રણ ભાગીદારો મળીને ચલાવતા હતા અને દિલ્હીમાં તેમની આવી ઘણી હોટલો અને ગેસ્ટ હાઉસ છે.
- પર્યટન વિભાગનું લાયસન્સ જય મિશ્રા નામના વ્યક્તિના નામે હતું.
- આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આગ લાગી ત્યારે આરોપી લવકેશ બજાજ પોતાની કારમાં ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો, પરંતુ તે ડરના માર્યા કોઈની મદદ કર્યા વગર જ ભાગી ગયો હતો અને આખો દિવસ શહેરમાં સંતાતો ફરતો હતો.
Delhi Hotel Tragedy: હોટલ ‘ચિમની’ બની ગઈ: દુર્ઘટના પાછળના ૫ મુખ્ય કારણો

ચીફ ફાયર ઓફિસર એ.કે. મલિકના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ પ્લસ ૫ માળની આ ઇમારતમાં આગ સવારે ૮:૩૦ વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. આગને કારણે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો અને ધુમાડો સેકન્ડોમાં ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો. આ દુર્ઘટના માટે નીચેના કારણો જવાબદાર હતા:
૧. વેન્ટિલેશનનો અભાવ અને સિંગલ એક્ઝિટ: હોટલની બધી બારીઓ સીલ હતી. અંદર આવવા-જવા માટે માત્ર એક જ સાંકડી સીડી હતી અને ઇમરજન્સી ફાયર એસ્કેપની કોઈ વ્યવસ્થા નહોતી. જેથી આખી બિલ્ડિંગ ‘ચિમની’ જેવી બની ગઈ હતી. ૨. સેન્સર ગેટ લોક થઈ ગયો: આગ લાગતા જ હોટલનો સેન્સર આધારિત મુખ્ય ગેટ આપમેળે બંધ (લોક) થઈ ગયો, જેના કારણે અંદર ફસાયેલા લોકો બહાર ભાગી શક્યા નહીં. ૩. સેફ્ટી સિસ્ટમ ફેલ: હોટલમાં સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ અને સ્પ્રિંકલર જેવી તમામ ફાયર સેફ્ટી સિસ્ટમ્સ બંધ હાલતમાં હતી. ૪. ગ્રાઉન્ડ ફ્લોર પર LPG સિલિન્ડર: ગ્રાઉન્ડ ફ્લોર પર સુરક્ષાના કોઈ પણ આઇસોલેશન વિના ભારે એલપીજી સિલિન્ડરો રાખવામાં આવ્યા હતા, જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું.
Delhi Hotel Tragedy: દિલ્હીમાં આગનો ભયાનક આંકડો

દિલ્હીમાં ગેરકાયદેસર કમર્શિયલ બિલ્ડિંગો અને ફાયર સેફ્ટીના અભાવે અવારનવાર આવી ઘટનાઓ બને છે. સત્તાવાર આંકડાઓ મુજબ:

- જાન્યુઆરી ૨૦૨૧ થી મે ૨૦૨૬ સુધીમાં દિલ્હીમાં જુદા જુદા અકસ્માતોમાં કુલ ૬,૪૬૬ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૪,૮૫૭ લોકો ઘાયલ થયા છે.
- આ કુલ આંકડામાંથી માત્ર આગ લાગવાની ઘટનાઓમાં જ ૪૪૫ લોકોના મોત થયા છે અને ૩,૧૯૩ લોકો ગંભીર રીતે દાઝ્યા કે ઘાયલ થયા છે.



વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પહેલાં જ ગરમાયું રાજકારણ પાટીદાર અગ્રણી પહોંચ્યા પોલીસ સ્ટેશને, ‘દિવ્ય દરબાર’ બંધ કરવા અને પ્રોટેક્શનની કરી માંગ




