Navsari Tribal Uprising: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ નવસારીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નવસારી નગરપાલિકા દ્વારા રસ્તા પહોળા કરવાની ઝુંબેશ હેઠળ 41 જેટલી આદિવાસી વસાહતો પર ડિમોલિશનની તલવાર લટકતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે ‘આદિવાસી જનજાગૃતિ સમિતિ’ના નેજા હેઠળ હજારોની સંખ્યામાં લોકોએ મનપા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Navsari Tribal Uprising: રેલી અને ઉગ્ર સૂત્રોચ્ચાર
નવસારીના માર્ગો પર આજે આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રચંડ માનવ મહેરામણે કલેક્ટર કચેરી અને મનપા કચેરી સુધી રેલી યોજી હતી. આંદોલનકારીઓએ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને તંત્ર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. તેમનો મુખ્ય આક્ષેપ છે કે દાયકાઓથી વસવાટ કરતા પરિવારોને વિશ્વાસમાં લીધા વિના જ ઘર તોડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Navsari Tribal Uprising: આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ
આદિવાસી સમાજના અગ્રણીઓએ તંત્ર સમક્ષ નીચે મુજબની તાર્કિક માંગણીઓ રજૂ કરી છે:
- પુનર્વસન: જો વિકાસ માટે ઘર તોડવા અનિવાર્ય હોય, તો મનપાની હદમાં જ તમામ સુવિધાઓ સાથે વૈકલ્પિક આવાસ આપવા.
- માલિકી હક: વર્ષો જૂની વસાહતોમાં રહેતા લોકોને તાત્કાલિક પ્રોપર્ટી કાર્ડ અને કાયદેસરના માલિકી હક આપવા.
- બાંધકામ મંજૂરી: જમીન કપાત બાદ બાકી રહેલી જગ્યા પર ઉપરના માળના બાંધકામની કાયદેસર મંજૂરી આપવી.
- પરામર્શ: ભવિષ્યમાં કોઈપણ સરકારી યોજનાના અમલીકરણ પૂર્વે સામાજિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી.

Navsari Tribal Uprising: ચૂંટણી ટાણે સંવેદનશીલ મુદ્દો
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ આંદોલને શાસક પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી છે. સેંકડો પરિવારોમાં પોતાનું છત્ર છીનવાઈ જવાનો ભય છે, જેની સીધી અસર મતદાન પર પડી શકે છે. આદિવાસી સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમના અધિકારોની રક્ષા નહીં થાય, તો તેઓ આરપારની લડાઈ લડશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




