Amit Khunt Suicide Case:ગોંડલના ચર્ચિત રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય બાદ રાજદીપસિંહ જાડેજા 84 દિવસના જેલવાસ પછી મુક્ત થવા જઈ રહ્યા છે, જેને લઈને સમગ્ર રીબડા અને ગોંડલ પંથકમાં ચર્ચા તેજ બની છે.
Amit Khunt Suicide Case:છ મહિના ફરાર રહ્યા બાદ કર્યો હતો આત્મસમર્પણ

રીબડાના યુવાન અમિત ખૂંટના આપઘાત બાદ આ કેસે ભારે રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી હતી. કેસમાં નામ આવતા રાજદીપસિંહ જાડેજા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. ગુનો નોંધાયા બાદ તેઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ રાહત મળી ન હતી.
આખરે 10 નવેમ્બર, 2025ના રોજ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
Amit Khunt Suicide Case:પોલીસ રિમાન્ડ બાદ જૂનાગઢ જેલ મોકલાયા
આત્મસમર્પણ બાદ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ 13 નવેમ્બર, 2025ના રોજ તેમને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા.
Amit Khunt Suicide Case:ગોંડલ સેશન્સ કોર્ટે શું કહ્યું?

ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.એ. ત્રિવેદી સમક્ષ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.
આ કેસમાં ફરિયાદ પક્ષે સ્પેશિયલ P.P. દ્વારા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા, જ્યારે બચાવ પક્ષે પુરાવા, તપાસના કાગળો અને કાયદાકીય દલીલો રજૂ કરી હતી.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને કેસના દસ્તાવેજોની ચકાસણી કરીને કોર્ટે રાજદીપસિંહ જાડેજાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો.
કડક શરતો સાથે જામીન મંજૂર
કોર્ટે આરોપીને નીચે મુજબની કડક શરતો સાથે જામીન આપ્યા છે:
- આરોપી પુરાવા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકશે નહીં કે સાક્ષીઓને પ્રભાવિત અથવા ડરાવી શકશે નહીં.
- જામીન મુક્ત થયા બાદ 1 એપ્રિલ 2026 સુધી રાજકોટ જિલ્લાની હદ છોડવાની મંજૂરી નહીં. ત્યારબાદ પણ કોર્ટની પરવાનગી વગર ગુજરાત બહાર જવાની મનાઈ રહેશે.
- આરોપી પાસે પાસપોર્ટ હોય તો 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવો, ન હોય તો સોગંદનામું રજૂ કરવું પડશે.
- ટ્રાયલ દરમિયાન નિયમિત હાજરી ફરજિયાત રહેશે તથા રહેઠાણ અને મોબાઈલ નંબરની વિગતો કોર્ટ અને તપાસ અધિકારીને આપવી પડશે.
- જામીન દરમિયાન કોઈ પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાવા પર પ્રતિબંધ રહેશે.
કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ શરતનું ઉલ્લંઘન થશે તો જામીન રદ કરવામાં આવશે.
કેસ ફરી ચર્ચામાં
રાજદીપસિંહ જાડેજાને જામીન મળતા રીબડા અમિત ખૂંટ આપઘાત કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હવે સમગ્ર મામલો ટ્રાયલ દરમિયાન કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.




