Tragic Accident in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક દુઃખદ સેનાનો અકસ્માત સર્જાયો છે. ભદ્રવાહ-ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ખન્ની ટોપ નજીક ભારતીય સેનાનું એક વાહન નિયંત્રણ ગુમાવતા 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 10 જવાનો શહીદ થયા છે, જ્યારે 11 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Tragic Accident in Jammu and Kashmir: ઊંચાઈવાળા વિસ્તારમાં જઈ રહી હતી સેનાની ટીમ

સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે વાહનમાં કુલ 21 જવાનો સવાર હતા. આ તમામ જવાનો ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી એક મહત્વની સૈન્ય પોસ્ટ તરફ જઈ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ ગુમાતા ગાડી સીધી ખીણમાં ખાબકી હતી.
Tragic Accident in Jammu and Kashmir: ઘાયલોને ઉધમપુર હોસ્પિટલમાં એરલિફ્ટ
અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા 11 જવાનોને હેલિકોપ્ટર મારફતે ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને ખસેડવામાં આવ્યા છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
Tragic Accident in Jammu and Kashmir: ઉપરાજ્યપાલ અને નેતાઓએ વ્યક્ત કર્યો શોક

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ અકસ્માત પર ઘેરો દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ દુઃખદ ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. આખો દેશ શહીદ જવાનોના પરિવારો સાથે એકજૂથતાથી ઉભો છે. ઘાયલ સૈનિકોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.”
આ સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આ દુર્ઘટનાને લઇ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “ડોડાથી આવેલા આ દુઃખદ સમાચાર હૃદયદ્રાવક છે. મારી ઊંડી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે.”

સમગ્ર દેશ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પે છે
આ અકસ્માતે સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે. ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, જ્યારે સેનાએ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.




