Army Chief : ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન, ચીન અને દેશની આંતરિક સુરક્ષા સ્થિતિને લઈને મહત્વના અને કડક સંદેશ આપ્યા છે. 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પહેલાં 13 જાન્યુઆરીએ દિલ્હીના માણેકશો સેન્ટરમાં યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ બોર્ડર (IB) અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર હાલ 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય છે અને ભારતીય સેના તેમની દરેક હિલચાલ પર બારીક નજર રાખી રહી છે.
Army Chief : પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

જનરલ દ્વિવેદીએ કહ્યું કે, “જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ભૂલ કરવામાં આવશે તો ભારતીય સેના તરત અને કડક જવાબ આપવા સંપૂર્ણ તૈયાર છે.” તેમણે ઉમેર્યું કે આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ યથાવત છે અને સરહદ પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી સહન કરવામાં નહીં આવે.
Army Chief : ‘ઓપરેશન સિંદૂર’ હજુ યથાવત
આર્મી ચીફે જણાવ્યું કે પહલગામ હુમલા બાદ માત્ર 22 મિનિટમાં ‘ઓપરેશન રીસેટ’ હેઠળ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. હાલ ‘ઓપરેશન સિંદૂર’ હજુ પણ ચાલુ છે. તેમણે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને બેઅસર ગણાવી કહ્યું કે, ભારતની રણનીતિક તૈયારીના કારણે આવી ધમકીઓ હવે અસરકારક રહી નથી. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સંવેદનશીલ હોવા છતાં સંપૂર્ણપણે સેનાના નિયંત્રણમાં છે.

Army Chief : ચીન સરહદ અને મણિપુર અંગે આશાવાદ
ઉત્તરી સરહદ પર ચીન સાથેની સ્થિતિ અંગે જનરલ દ્વિવેદીએ સકારાત્મક અભિગમ દાખવ્યો. તેમણે કહ્યું કે ઉચ્ચ સ્તરીય વાટાઘાટોના કારણે સરહદ પર સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે, જોકે સેના સતત સતર્ક છે. મણિપુરમાં પણ સુરક્ષા દળો અને સરકારના સંકલિત પ્રયાસોથી શાંતિ સ્થાપિત થતી જોવા મળી રહી છે. સાથે જ, મ્યાનમારમાં ચૂંટણી બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી.
સેનાનું આધુનિકીકરણ: 2026 પર ખાસ ફોકસ
ભારતીય સેના હવે આધુનિક ટેકનોલોજી તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. આર્મી ચીફે જણાવ્યું કે ટૂંક સમયમાં અદ્યતન બ્રહ્મોસ મિસાઈલ, હાઈ-ટેક ડ્રોન અને લોઈટરિંગ મ્યુનિશન સેનામાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે સેનાનો 90 ટકાથી વધુ દારૂગોળો હવે સ્વદેશી ઉત્પાદન છે.
જનરલ દ્વિવેદીએ વર્ષ 2026ને ‘નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસીટીનું વર્ષ’ જાહેર કરવાની જાહેરાત કરી, જેના કારણે યુદ્ધના મેદાનમાં રિયલ-ટાઈમ નિર્ણય લેવામાં ભારતીય સેનાની ક્ષમતા વધુ મજબૂત બનશે.




