પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ
માલગાડી સાથે થઈ પેસેન્જર ટ્રેનની ટક્કર
અકસ્માતમાં 31થી વધુ લોકો ઘાયલ
પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્ય રેલવે લાઇન પર ઊભેલી માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 31 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માત શેખપુરા જિલ્લાના કિલા સત્તાર શાહ સ્ટેશન પાસે રવિવારે થયો હતો. પેસેન્જર ટ્રેન મિયાવાલીથી આવીને લાહોર જઈ રહી હતી. રેલવેની બેદરકારીના કારણે મોટો અકસ્માત થયો છે. અકસ્માતના ભોગ બનેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ટ્રેન ડ્રાઇવરે અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના તમામ પ્રયાસો વ્યર્થ ગયા. રેસ્ક્યુ ટીમનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 31 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી પાંચ ગંભીર રીતે ઘાયલોને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.રેલવે પ્રવક્તાએ કહ્યું કે દુર્ઘટના બાદ લાહોર ડિવિઝનમાં ટ્રેનનું સંચાલન સુચારૂ રીતે ચાલી રહ્યું છે. ટ્રેક સાફ કરવામાં આવ્યો હતો. ટ્રેન ડ્રાઈવર ઈમરાન સરવર અને તેના સહાયક મુહમ્મદ બિલાલ સહિત ચાર રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી પ્રિન્સિપલ ઓફિસરના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરવામાં આવી છે, જે 24 કલાકમાં ઘટના અંગે પોતાનો રિપોર્ટ આપશે. રેલ્વે ચેરમેનનું કહેવું છે કે આ ઘટના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સીઈઓ રેલ્વે શાહિદ અઝીઝે કહ્યું કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

