Bengal Shocker: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના મધ્યમગ્રામ વિસ્તારમાં બુધવારે રાત્રે ભારે સનસનાટી મચી ગઈ હતી. ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથ (ઉં.વ. 42) પર બદમાશોએ આડેધડ ફાયરિંગ કરીને તેમની નિર્મમ હત્યા કરી દીધી છે. ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે આ ઘટનાથી રાજકારણ ગરમાયું છે.
Bengal Shocker: સ્કોર્પિયો રોકીને ૧૦ રાઉન્ડ ફાયરિંગ: ઘટનાની સિલસિલાવાર વિગત

- ઘર પરત ફરતી વખતે હુમલો: ચંદ્રનાથ રથ બુધવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે કોલકાતાથી સ્કોર્પિયો કારમાં મધ્યમગ્રામ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
- બાઈક સવારોએ ઘેરી લીધા: નેશનલ હાઈવે ૧૨ (NH 12) પર જેસોર રોડ નજીક દોહારિયા વિસ્તારમાં પાછળથી આવેલી એક કારે તેમની સ્કોર્પિયોને રોકી હતી. ત્યારબાદ મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ ડાબી બાજુથી તબડતોબ ૬ થી ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
- છાતી અને પેટમાં વાગી ગોળી: ચંદ્રનાથ રથને ૪ ગોળીઓ વાગી હતી, જેમાં બે છાતીમાં અને એક પેટમાં વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
- ડ્રાઈવરની હાલત ગંભીર: આ હુમલામાં કારના ડ્રાઈવર બુદ્ધદેવ બેરા અને અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ચંદ્રનાથને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Bengal Shocker: હત્યા બાદ બંગાળ ભડકે બળ્યું: તોડફોડ અને આગચંપી
આ હાઈપ્રોફાઈલ હત્યા બાદ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે:
- ચક્કાજામ અને એન્કાઉન્ટરની માંગ: ગુસ્સે ભરાયેલા ભાજપ કાર્યકર્તાઓએ NH 12 પર ચક્કાજામ કર્યો હતો અને આરોપીઓના એન્કાઉન્ટરની માંગ કરી હતી.
- TMC ઓફિસો પર હુમલા: કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં ભાજપ સમર્થકોએ તોડફોડ કરી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું. જગતબલ્લભપુર અને આસનસોલમાં પણ TMC ઓફિસોને આગને હવાલે કરાઈ હતી.
- અભિષેક બેનર્જીની ઓફિસમાં તોડફોડ: આમતલા સ્થિત TMC મહાસચિવ અભિષેક બેનર્જીની ઓફિસ પર પથ્થરમારો કરી પોસ્ટર-બેનરો ફાડવામાં આવ્યા હતા.
- બોમ્બ અને પ્રતિમા ખંડિત: તપાસ દરમિયાન બામનઘેરીમાંથી બોમ્બ ભરેલી બેગ મળી આવી છે, જ્યારે મુર્શિદાબાદમાં રશિયન ક્રાંતિકારી લેનિનની પ્રતિમા પણ તોડી પાડવામાં આવી છે.
ઘટના સંબંધિત તસવીરો





રાજકીય આક્ષેપબાજી: TMCએ કરી CBI તપાસની માંગ

ભાજપે આ હત્યા પાછળ સીધો જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ, આક્ષેપો સામે આવ્યા બાદ TMCએ મોડી રાત્રે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ હત્યાની સખત નિંદા કરી છે. TMCએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોર્ટની દેખરેખ હેઠળ આ મામલાની સીબીઆઈ (CBI) તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ખાખીનો ખોફ અમદાવાદમાં રૂમ ભાડે ન મળતાં પોલીસકર્મીની ગુંડાગીરી; ઘાંચી ભવનના કર્મચારીને ઓફિસમાં ઘૂસી ઢોર માર માર્યો, CCTV ફૂટેજ વાયરલ




