Ahmedabad Tragedy:અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર સ્થિત NRI ટાવરમાં મોડી રાત્રે એક ભયાનક અને દિલ દ્રવી દેનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો.
Ahmedabad Tragedy:માત્ર બે મહિના પહેલા થયા હતા લગ્ન

મૃતક યશરાજસિંહ ગોહિલ (ઉંમર 33) અને તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ (ઉંમર 30)ના માત્ર બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. બંને ભાવનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને અમદાવાદના NRI ટાવરમાં રહેતા હતા.
Ahmedabad Tragedy:ઝઘડો ઉગ્ર બનતા ખૂની ખેલ
પ્રાથમિક માહિતી અનુસાર, ગત રાત્રે દંપતી કોઈ સબંધીના ઘરે જમણવાર કરીને ઘરે પરત ફર્યું હતું. ત્યારબાદ કોઈ અંગત બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે ધીમે ધીમે ઉગ્ર બની ગયો. ઝઘડાની સ્થિતિમાં યશરાજસિંહે પોતાની પાસે રહેલા લાયસન્સ ધરાવતા હથિયાર વડે પત્ની પર ગોળી ચલાવી દીધી.
Ahmedabad Tragedy:108ને કર્યો ફોન, પરંતુ બચાવી ન શકાઈ પત્ની
ગોળી વાગ્યા બાદ યશરાજસિંહે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જણાવ્યું હતું કે “મારી પત્નીને ભૂલથી ગોળી લાગી ગઈ છે.” 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતી હતી ત્યારે રાજેશ્વરીનું મોત થઈ ચૂક્યું હોવાનું બહાર આવ્યું. આ સમાચાર સાંભળતા જ યશરાજસિંહ ભારે આઘાતમાં આવી ગયો.
પત્નીના મોત બાદ પતિએ કર્યો આત્મઘાત
108નો સ્ટાફ ઘરની બહાર નીકળતાની સાથે જ યશરાજસિંહે પોતાના માથામાં ગોળી મારી આત્મઘાત કરી લીધો. બંનેના માથાના ભાગે જ ગોળી વાગી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બનાવ સમયે ઘરમાં માતા હાજર
આ ઘટનાની વધુ કરુણ બાબત એ છે કે, બનાવ સમયે યશરાજસિંહની 60 વર્ષીય માતા ઘરના બીજા રૂમમાં હાજર હતા. ગોળીબારનો અવાજ સાંભળતા તેઓ દોડીને આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંનેનું જીવન સમાપ્ત થઈ ચૂક્યું હતું.
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં
ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ, ઝોન-1 DCP અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી દેવામાં આવી હતી અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
ઝઘડાનું કારણ હજુ અસ્પષ્ટ
હાલ સુધી પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા લાયસન્સવાળા હથિયાર, કોલ ડિટેઇલ્સ અને પરિવારજનોના નિવેદનોના આધારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ સમગ્ર અમદાવાદ શહેર અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાવી છે.
આ પણ વાંચો :Bagdana Case: બગદાણા હુમલા કેસમાં તપાસ તેજ: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું




